આજથી VB G-RAM-G યોજનાની અમલવારી, હવે 125 દિવસની મળશે રોજગારી
ગ્રામિણ શ્રમિકોને રૂ.3૨૭.૪ વેતન મળશે : દેશભરમાં નવો નિયમ લાગુ કરતી કેન્દ્ર સરકાર
અગ્ર ગુજરાત, અમદાવાદ
દેશના ગ્રામીણ પરિવારો માટે 1 જુલાઈથી મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ‘વિકાસ ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) અધિનિયમ, 2025’ (VB-G RAM G) અમલમાં મૂક્યો છે. નવા કાયદા હેઠળ હવે પાત્ર ગ્રામીણ પરિવારોને અગાઉના 100 દિવસની જગ્યાએ 125 દિવસની કાનૂની રોજગાર ગેરંટી મળશે. સાથે જ દૈનિક વેતનમાં વધારો કરીને સરેરાશ ₹327.4 કરવામાં આવ્યું છે અને દેશભરમાં લઘુત્તમ વેતન ₹300 પ્રતિ દિવસ નક્કી કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, VB-G RAM G કાયદાનો મુખ્ય હેતુ ગ્રામીણ પરિવારોને વધુ રોજગાર સુરક્ષા અને સ્થિર આવક ઉપલબ્ધ કરાવવાનો છે. અગાઉ મનરેગા હેઠળ દર નાણાકીય વર્ષમાં 100 દિવસના વેતન રોજગારની કાનૂની ગેરંટી આપવામાં આવતી હતી. હવે નવા કાયદા હેઠળ આ મર્યાદા વધારીને 125 દિવસ કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે વધારાના 25 દિવસની રોજગારીથી ખાસ કરીને કૃષિ પર નિર્ભર અને મોસમી આવક ધરાવતા પરિવારોને વધુ આર્થિક સુરક્ષા મળશે. તેનાથી ગામડાઓમાં રોજગારના વધુ અવસર ઉભા થશે અને સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોને પણ ગતિ મળશે.
ગ્રામીણ વિકાસ મંત્રાલયે જાહેર કરેલા નવા વેતન દરો મુજબ દેશભરમાં સરેરાશ દૈનિક વેતન ₹298.8થી વધારીને ₹327.4 કરવામાં આવ્યું છે. એટલે કે સરેરાશ ₹28.6 પ્રતિ દિવસનો વધારો થયો છે. સરકારે સાથે જ વચગાળાના ધોરણે દેશવ્યાપી લઘુત્તમ વેતન ₹300 પ્રતિ દિવસ નક્કી કર્યું છે. તેનો અર્થ એ છે કે નવી યોજના હેઠળ કોઈપણ રાજ્યમાં વેતન ₹300થી ઓછું નહીં રહે. સરેરાશ 10 ટકાથી વધુના વેતન વધારાથી લાખો ગ્રામીણ મજૂરોને સીધો લાભ મળવાની શક્યતા છે.
₹95 હજાર કરોડથી વધુનું બજેટ ફાળવાયું
નવી વ્યવસ્થા સફળતાપૂર્વક અમલમાં આવે તે માટે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ ₹95,692.31 કરોડની વચગાળાની ફાળવણી કરી છે.
સરકારના જણાવ્યા અનુસાર આ ફાળવણીનો હેતુ સમયસર વેતન ચૂકવણી સુનિશ્ચિત કરવો, વિકાસ કાર્યોમાં વિલંબ ટાળવો અને યોજના અંતર્ગત કામોની સતત પ્રગતિ જાળવી રાખવાનો છે. પૂરતું ભંડોળ ઉપલબ્ધ હોવાથી ગ્રામ પંચાયતો વિકાસ કાર્યોને વધુ અસરકારક રીતે આગળ ધપાવી શકશે.
જૂના જોબ કાર્ડ હાલ માન્ય રહેશે
કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે નવા ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્ડ જારી ન થાય ત્યાં સુધી e-KYC ચકાસણી પૂર્ણ કરેલા જૂના જોબ કાર્ડ માન્ય રહેશે. આથી હાલના લાભાર્થીઓને નવી નોંધણી ન થાય ત્યાં સુધી કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. નવી યોજના હેઠળ ગ્રામ પંચાયતોની ભૂમિકા યથાવત રહેશે. જળ સંરક્ષણ, કુદરતી સંસાધન વ્યવસ્થાપન, કૃષિ વિકાસ, ગ્રામીણ માળખાગત સુવિધાઓ અને મહિલા સશક્તિકરણ સંબંધિત કાર્યોને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે.


