આયુષીના મોતે ઉઘાડ્યુ ડમી શિક્ષણનું મહાકૌભાંડ
રાજકોટ સહિત રાજ્યના 31 શહેરોની 697 વિદ્યાર્થીઓની ગેરરીતિનો પર્દાફાશ
જસદણના આલ્ફા સંકુલમાં બાળકીના રહસ્યમય મોતની તપાસમાં સામે આવ્યું મોટું નેટવર્ક; બે વર્ષથી ગુજરાતભરમાં ડમી સ્કૂલિંગનો ખેલ, ગાંધીનગર સુધી પહોંચ્યો રિપોર્ટ
અગ્ર ગુજરાત, રાજકોટ
જસદણના આલ્ફા સંકુલમાં ધોરણ-5માં અભ્યાસ કરતી 10 વર્ષીય આયુષી બલદાણીયાના રહસ્યમય મોતની ઘટનાએ માત્ર એક સ્કૂલની બેદરકારી જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના શિક્ષણતંત્રને હચમચાવી નાખે તેવું ડમી શિક્ષણનું મોટું નેટવર્ક પણ બહાર લાવ્યું છે. બાળકીના મોત બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરાયેલી તપાસમાં રાજ્યના 31 શહેરોની વિવિધ શાળાઓના કુલ 697 વિદ્યાર્થીઓ આલ્ફા સંકુલમાં ડમી તરીકે રહી અભ્યાસ કરતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
શિક્ષણ વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ આ તમામ વિદ્યાર્થીઓ કાગળ પર પોતાની મૂળ શાળાઓમાં હાજરી દર્શાવતા હતા, જ્યારે વાસ્તવમાં તેઓ જસદણના આલ્ફા સંકુલમાં રહી નવોદય અને સૈનિક સ્કૂલ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હતા. ઓનલાઈન હાજરી મૂળ શાળામાં ભરાતી અને વિદ્યાર્થીઓ વર્ષો સુધી હોસ્ટેલમાં રહી કોચિંગ લેતા હોવાનો ઘટસ્ફોટ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઉભા કરે છે.
મહુવાના મોટા જાદરા ગામના રહેવાસી રમેશભાઈ બલદાણિયાએ પોતાની પુત્રી આયુષીને ગત 27 એપ્રિલે આલ્ફા સંકુલની હોસ્ટેલમાં દાખલ કરી હતી. પરિવારના આક્ષેપ મુજબ બાળકીને અછબડા અને ઊંચો તાવ હોવા છતાં સંચાલકોએ સમયસર જાણ કરી નહોતી અને યોગ્ય સારવાર પણ આપવામાં આવી નહોતી. 24 જૂને બાળકીની હાલત ગંભીર બનતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
આ બનાવ બાદ પરિવારના આક્ષેપો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની તપાસના આધારે જસદણ પોલીસે આલ્ફા સ્કૂલના ટ્રસ્ટી જયસુખ શંખારવા અને હિરેન શંખારવા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 અને 54 હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. હાલ સ્કૂલ અને હોસ્ટેલ એક મહિના માટે બંધ કરવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન સામે આવેલી માહિતી વધુ ચોંકાવનારી છે. વર્ષ 2025-26 દરમિયાન 250 અને વર્ષ 2026-27 દરમિયાન 447 વિદ્યાર્થીઓ મળીને કુલ 697 બાળકો ડમી તરીકે અહીં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓના નામ અને વિગતો ગાંધીનગર સ્થિત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકને મોકલી આપવામાં આવ્યા છે.
આ કેસે શિક્ષણ જગતમાં વર્ષોથી ચાલતી એવી ગેરરીતિને ઉજાગર કરી છે, જેમાં વિદ્યાર્થીઓને માત્ર કાગળ પર અલગ-અલગ શાળાઓમાં દાખલ રાખવામાં આવે છે, જ્યારે તેઓ સંપૂર્ણ સમય ખાનગી કોચિંગ સંસ્થાઓમાં રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. આ પ્રણાલીથી સરકારી નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.
જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવાનું ટાળ્યું છે, પરંતુ ગાંધીનગરમાં રિપોર્ટ પહોંચતા હવે રાજ્યના 31 શહેરોની સંડોવાયેલી શાળાઓ સામે પણ તપાસનો દોર શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જો આ તપાસ વિસ્તરશે તો માત્ર એક સંકુલ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચાલતા ડમી સ્કૂલિંગના રેકેટનો વધુ મોટો પર્દાફાશ થઈ શકે છે.
આયુષીના મોતે એક પરિવાર પાસેથી દીકરી છીનવી લીધી, પરંતુ સાથે જ શિક્ષણના નામે ચાલી રહેલા એવા ગેરકાયદેસર ખેલને પણ બહાર લાવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને શિક્ષણ બંને જોખમમાં મુકાયા હતા. હવે સમગ્ર રાજ્યની નજર સરકાર અને શિક્ષણ વિભાગની કાર્યવાહી પર છે કે આ મહાકૌભાંડમાં સંડોવાયેલા તમામ જવાબદારો સામે ક્યારે અને કેટલી કડક કાર્યવાહી થાય છે.
‘ડમી સ્કૂલિંગ’ શું છે?
ડમી સ્કૂલિંગ એટલે વિદ્યાર્થીનું નામ નિયમિત શાળામાં દાખલ રાખવામાં આવે, પરંતુ તે વાસ્તવમાં ત્યાં ભણતો ન હોય. વિદ્યાર્થી ખાનગી કોચિંગ કે અન્ય સંસ્થામાં રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે અને મૂળ શાળામાં માત્ર કાગળ પર હાજરી પૂરવામાં આવે. આ પ્રથા શિક્ષણના નિયમો વિરુદ્ધ માનવામાં આવે છે.
697 વિદ્યાર્થીઓનો ચોંકાવનારો આંકડો
વર્ષ 2025-26માં ડમી વિદ્યાર્થીઓ : 250
વર્ષ 2026-27માં ડમી વિદ્યાર્થીઓ : 447
કુલ વિદ્યાર્થીઓ : 697
રાજ્યના 31 શહેરોની શાળાઓ સાથે જોડાણ
તમામ વિગતો ગાંધીનગર મોકલાઈ
આયુષી કેસમાં અત્યાર સુધી શું કાર્યવાહી?
10 વર્ષની આયુષી બલદાણીયાનું 24 જૂને મોત
પિતાની ફરિયાદ બાદ પોલીસ તપાસ
ટ્રસ્ટી જયસુખ શંખારવા અને હિરેન શંખારવાની ધરપકડ
BNS કલમ 105 અને 54 હેઠળ ગુનો નોંધાયો
સ્કૂલ અને હોસ્ટેલ એક મહિના માટે બંધ
શિક્ષણતંત્ર સામે સૌથી મોટા સવાલ
વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી કોણ ભરતું હતું?
મૂળ શાળાઓને ડમી વ્યવસ્થાની જાણ હતી કે નહીં?
બે વર્ષ સુધી તપાસ કેમ ન થઈ?
રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવું નેટવર્ક ચાલે છે?
હવે ગાંધીનગર કડક કાર્યવાહી કરશે કે માત્ર તપાસ પૂરતી જ સીમિત રહેશે?


