માધાપર ચોકડીએ રેતી ભરેલા ડમ્પરે યુવાનનો જીવ લીધો, અકસ્માત બાદ ઉગ્ર રોષ
નોકરી પરથી ઘરે પરત ફરતા 29 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત; આરોપી ચાલક ફરાર, ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ભારે વાહનોની બેફામ દોડ વધુ એક પરિવાર માટે કાળ બની છે. માધાપર ચોકડી નજીક રેતી ભરેલા ડમ્પરે બાઈક સવાર યુવાનને કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ જતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો. બીજી તરફ, મૃતકના પરિવારજનોએ જવાબદાર ડમ્પર ચાલકની તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતાં સમગ્ર ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, શહેરના માધાપર પર ગામમાં સહજાનંદ સ્કૂલ નજીક રહેતા ઉદય મહેશભાઈ વાઘેલા (ઉં. 29) ગઈ રાત્રે પોતાની નોકરી પૂર્ણ કરીને બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ એસ્ટ્રોન ચોક વિસ્તારમાં આવેલી એક ઇલેક્ટ્રિક સામાનની દુકાનમાં કામ કરતા હતા. રાત્રિના આશરે 10 વાગ્યાના સમયે તેઓ માધાપર ચોકડી નજીક પહોંચ્યા ત્યારે રેતી ભરેલા ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ઉદયભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન રસ્તા પર જ મૂકી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. સાથે જ ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને સગાસંબંધીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે શહેરમાં ભારે વાહનો બેફામ રીતે દોડે છે, પરંતુ આવા વાહનો સામે અસરકારક કાર્યવાહી થતી નથી. અનેક નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને છે છતાં તંત્ર પૂરતા નિયંત્રણમાં નિષ્ફળ રહ્યું છે. પરિવારજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી જવાબદાર ડમ્પર ચાલક ઝડપાઈ નહીં જાય અને યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં.
પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસે મૃતકના ભાઈ રોહન વાઘેલાની ફરિયાદના આધારે ડમ્પર ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ચાલક સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉદય વાઘેલા પોતાના પરિવારનો મુખ્ય આધારસ્તંભ હતા. તેઓ બે ભાઈમાં મોટા હતા અને પરિવારની આર્થિક જવાબદારી પણ નિભાવતા હતા. તેમના પરિવારમાં પત્ની તેજલબેન અને દિવ્યેશ નામનો એક માસુમ પુત્ર છે. યુવાન વયે પરિવારના મોભીનું મૃત્યુ થતાં પત્ની પર આભ તૂટી પડ્યું છે, જ્યારે નાનકડા દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ બનાવ બાદ સ્થાનિકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે માધાપર ચોકડી સહિત શહેરના અનેક વિસ્તારોમાં રેતી, કપચી અને અન્ય માલસામાન ભરેલા ડમ્પરો નિયમોનું પાલન કર્યા વગર બેફામ ગતિએ દોડે છે. અગાઉ પણ આવા અકસ્માતોમાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા હોવા છતાં કડક નિયંત્રણના અભાવે આવી દુર્ઘટનાઓ સતત બની રહી છે. સ્થાનિકોએ ભારે વાહનો માટે કડક ટ્રાફિક નિયંત્રણ, નિશ્ચિત સમય મર્યાદા અને નિયમોના કડક અમલની માંગ ઉઠાવી છે.
હાલ ગાંધીગ્રામ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે અને ફરાર ડમ્પર ચાલકને ઝડપવા માટે વિવિધ ટીમોને કામે લગાડવામાં આવી છે. આ કરુણ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ભારે વાહનોની બેદરકારી અને માર્ગ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.


