લોક અદાલતમાં અકસ્માત પીડિતોને મોટી રાહત, 77 કેસોમાં રૂ.5.50 કરોડનું વળતર મંજૂર
મૃતકોના વારસદારો અને ઇજાગ્રસ્તોને ઝડપથી ન્યાય મળ્યો; વીમા કંપનીઓ ચૂકવશે વળતરની રકમ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં યોજાયેલી મેગા લોક અદાલતમાં વાહન અકસ્માતના દાવાઓનો ઝડપી અને અસરકારક નિકાલ થતાં અકસ્માત પીડિત પરિવારોને મોટી રાહત મળી છે. તા. 11 જુલાઈ, 2026ના રોજ યોજાયેલી લોક અદાલતમાં કુલ 77 અલગ-અલગ વાહન અકસ્માતના કેસોનો સમાધાનથી અંત લાવી અંદાજે રૂ.5.50 કરોડના વળતરને મંજૂરી આપવામાં આવી હતી.
લોક અદાલતમાં મંજૂર થયેલા કેસોમાં અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓના વારસદારો તેમજ વિવિધ અકસ્માતોમાં ઇજા પામેલા અરજદારોને મોટર વ્હિકલ એક્ટ હેઠળ વળતર મળ્યું છે. સમાધાનના આધારે ટૂંકા સમયમાં કેસો પૂર્ણ થતાં અરજદારોને લાંબી કાનૂની પ્રક્રિયામાંથી રાહત મળી હતી.
આ તમામ કેસોમાં મંજૂર થયેલી વળતરની રકમ સંબંધિત વીમા કંપનીઓ દ્વારા અરજદારોને ચૂકવવામાં આવશે. લોક અદાલતના માધ્યમથી કેસોનો ઝડપથી નિકાલ થતાં પીડિત પરિવારોને સમયસર આર્થિક સહાય મળવાનો માર્ગ મોકળો બન્યો છે.
આ કેસોની કાર્યવાહી દરમિયાન અકસ્માત વળતર સંબંધિત કેસોમાં લાંબા સમયથી કામગીરી કરતી રાજકોટની સુરૈયા એસોસિએટ્સ ફર્મે અરજદારો તરફથી અસરકારક રજૂઆતો કરી હતી. અરજદારોનું પ્રતિનિધિત્વ જાણીતા સિનિયર એડવોકેટ એમ. એ. સુરૈયા તેમજ એડવોકેટ સાકેતભાઈ મોરડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
લોક અદાલતના માધ્યમથી ઓછા સમયમાં મોટી સંખ્યામાં અકસ્માત વળતરના કેસોનો નિકાલ થતાં પીડિત પરિવારોને ઝડપી ન્યાય અને આર્થિક સહાય મળવાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા મળી હોવાનું કાનૂની વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે.


