શિક્ષણવિદ્દ ડૉ. બળવંતભાઈ જાનીને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ-૨૦૨૫ એનાયત
કુમાર આર્ટસ ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ અર્પણ કરાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
કલા અને સાહિત્ય ક્ષેત્રે કાર્યરત અગ્રણી સંસ્થા કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન (અમદાવાદ) દ્વારા વર્ષ ૨૦૨૫ના પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. સંસ્થા દ્વારા ગત વર્ષનો લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ પૂર્વ કુલપતિ, ખ્યાતનામ શિક્ષણવિદ્દ અને અગ્રણી સાહિત્યકાર ડૉ. બળવંતભાઈ જાનીને એનાયત કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. બળવંતભાઈ જાનીને કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ-૨૦૨૫ એનાયત કરવાની જાહેરાત થતા જ સરસ્વતી શિશુમંદિરના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર તેમજ અન્ય ટ્રસ્ટીઓ સહિત વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો દ્વારા ડૉ. બળવંતભાઈ જાની પર અભિનંદનવર્ષા થઈ રહી છે.
કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન દર વર્ષે સાહિત્ય સર્જન અને સાહિત્ય શિક્ષણના ક્ષેત્રમાં પોતાનું આજીવન નોંધપાત્ર અને મૂલ્યવાન યોગદાન આપનાર કોઈ એક પ્રતિભાશાળી પ્રોફેસર/સાહિત્યકારને આ એવોર્ડથી સન્માનિત કરે છે. વર્ષ ૨૦૨૫ના પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ માટે ડૉ. બળવંતભાઈ જાનીની પસંદગી કરવામાં આવી છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાતી ભાષાનું ગૌરવ કહી શકાય એવા એક બહુઆયામી સારસ્વત ડૉ. બળવંતભાઈ જાની ગુજરાતી લોકસાહિત્ય, સંતસાહિત્ય, જૈન સાહિત્ય, આદિવાસી સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્યના અત્યંત વિદ્વાન સંશોધક તરીકે દેશ-વિદેશમાં ખ્યાતિ ધરાવે છે. બ્રિટન અને અમેરિકાના ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય પરના સંશોધન તેમજ ઈસ્માઇલી સાહિત્યના અભ્યાસમાં તેમનું ક્ષેત્રકાર્ય નોંધપાત્ર રહ્યું છે.
ગુજરાત સરકારના લોકસાહિત્યના સામયિક ‘લોકગુર્જરી’ના ૨૫ વર્ષ સુધી સંપાદક રહેલા ડૉ. જાનીના વિવિધ સાહિત્યિક વિષયો પર ૧૦૦થી વધુ પુસ્તકો અને અસંખ્ય સંશોધન લેખો પ્રકાશિત થયા છે. સાહિત્યિક ક્ષેત્રે તેમના આ વિરાટ પ્રદાન બદલ તેમને ભારત સરકારના પ્રતિષ્ઠિત ‘ગંગાશરણ સિંહ રાષ્ટ્રપતિ પુરસ્કાર (૨૦૨૨)’, ‘ગુજરાત ગૌરવ પુરસ્કાર’, ‘હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક’ અને ‘ડાયસ્પોરા સાહિત્ય સંશોધન સુવર્ણચંદ્રક’ જેવા અનેક ગરિમાપૂર્ણ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. હાલમાં તેઓ ‘ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ’ અને ‘સ્વામિનારાયણ સંશોધન કેન્દ્ર’-વડતાલના માનદ્ નિયામક તરીકે કાર્યરત છે.


