સરકાર આવશે ઘર આંગણે, સેવાસેતુનો પ્રારંભ
અરજદારોને કચેરીના ધક્કાથી મુકિત મળશે, આધાર, રેશન, આવકના દાખલા, કેવાયસી, જન આરોગ્ય યોજના સહિતની કામગીરી એક જ છત નીચે થશે
અગ્ર ગુજરાત, ગાંધીનગર
સરકારી કામ કરાવવું એટલે લાંબી લાઈનો, કાગળોનો ડગલો અને કચેરીઓના ચક્કર કાપવા-સામાન્ય નાગરિક માટે આ એક મોટો માથાનો દુખાવો હોય છે. પરંતુ જો સરકાર પોતે ચાલીને તમારા ગામ કે સોસાયટી સુધી આવે અને સ્થળ પર જ તમારા બધા કાગળિયાં ઓકે કરી આપે તો? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે “Government to Citizen” (G2C) અભિગમ અપનાવીને નાગરિકો માટે એક મોટો નિર્ણય લીધો છે.
સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા રાજ્યભરમાં ‘સેવાસેતુ’ કાર્યક્રમનો નવો આક્રમક તબક્કો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ‘સેવાસેતુ 2.1’ અને શહેરી વિસ્તારોમાં ૧૨મો તબક્કો શરૂ કરીને સરકાર દરેક પાત્ર નાગરિક સુધી યોજનાઓનો ૧૦૦% લાભ (સેચ્યુરેશન) પહોંચાડવા માંગે છે.
સેવાસેતુ શિબિર એટલે નાગરિકો માટે સરકારી સેવાઓનો વન-સ્ટોપ સોલ્યુશન! આ શિબિરોમાં અરજી કરવા માટે ક્યાંય દોડાદોડી કરવાની જરૂર નથી. કલેક્ટર કચેરી કે મામલતદાર કચેરીના અધિકારીઓ સ્થળ પર હાજર રહીને કામ કરશે.
જેવી રીતે ગામડાઓમાં શિબિરો યોજાશે, તે જ રીતે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પણ ૨૧ સપ્ટેમ્બરથી ૯ ઑક્ટોબર, ૨૦૨૬ દરમિયાન સેવાસેતુનો ૧૨મો તબક્કો યોજાશે. શહેરોમાં વોર્ડ વાઈઝ ક્લસ્ટર બનાવીને શિબિરો ગોઠવવામાં આવશે. શહેરીજનોને પોતાની સોસાયટી કે વોર્ડ નજીક જ આ સુવિધા મળશે. અધિકારીઓ મોટાભાગના કેસોનો નિકાલ એ જ દિવસે સ્થળ પર જ કરી દેશે. જો કોઈ કિસ્સામાં વિશિષ્ટ તપાસની જરૂર હશે, તો વધુમાં વધુ ૭ દિવસની અંદર અરજીનો નિકાલ કરવાનો આદેશ અપાયો છે.
આ વખતનો સેવાસેતુ માત્ર કાગળો સ્વીકારવા પૂરતો સીમિત નથી. શિબિરમાં આવતા લોકોને ડિજિટલ સેવાઓ, BHIM એપ અને UPI ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરવા તેની તાલીમ પણ આપવામાં આવશે, જેથી ભવિષ્યમાં તેઓ જાતે ઓનલાઈન કામ કરી શકે. આ ઉપરાંત, મંડપમાં વરિષ્ઠ નાગરિકો (સીનિયર સિટીઝન), દિવ્યાંગ ભાઈ-બહેનો અને મહિલાઓ માટે અલગ બેસવાની અને કામ કરાવવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે જેથી તેમણે લાંબી લાઈનમાં ઊભા રહેવું ન પડે.
બે તબક્કામાં આયોજન
આ વખતે ગ્રામ્ય વિસ્તારમાં સેવાસેતુનું આયોજન બહુ જ વ્યવસ્થિત અને પ્લાનિંગ સાથે કરવામાં આવ્યું છે જેથી કોઈ પણ વ્યક્તિ કાગળોના અભાવે રહી ન જાય.
પ્રથમ તબક્કો (૬ ઑગસ્ટથી ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૬): આ સમયગાળા દરમિયાન ગામડે-ગામડે જઈને સર્વે અને પૂર્વ તૈયારી કરવામાં આવશે. આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા, બેંક ખાતાં, e-KYC અને પ્રધાનમંત્રી જન આરોગ્ય (PMJAY) યોજના માટે જરૂરી દસ્તાવેજો એકઠા કરાશે અને લાભાર્થીઓની યાદી તૈયાર થશે.
બીજો તબક્કો (૨૧ સપ્ટેમ્બરથી ૯ ઑક્ટોબર, 2026): આ દિવસોમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખાસ શિબિરો યોજાશે. પ્રથમ તબક્કામાં તૈયાર થયેલી યાદી મુજબ સ્થળ પર જ લોકોને સરકારી યોજનાઓના મંજૂરી પત્રો અને દાખલાઓ હાથોહાથ આપી દેવાશે.
આ બે તબક્કાની નીતિને કારણે શિબિરમાં કોઈ ધમાલ કે ભીડ નહીં થાય અને ગતિશીલતા સાથે ૧૦૦ ટકા કામ પૂર્ણ થશે.
શિબિરમાં મળનારી મુખ્ય સેવાઓ:
ઓળખ અને કાગળો: આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, સીનિયર સિટીઝન કાર્ડ.
જમીન-સંપત્તિ: વારસાઈ નોંધ, સ્વામિત્વ યોજના.
આરોગ્ય અને નાણાકીય: પ્રધાનમંત્રી જન આરોગ્ય (PMJAY) કાર્ડ, જનધન બેંક ખાતા, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC).
ખેડૂત અને મહિલા સહાય: કિસાન સન્માન નિધિ, માતૃશક્તિ યોજના, ગંગાસ્વરૂપા (વિધવા) આર્થિક સહાય.
સમાજ કલ્યાણ: અનુસૂચિત જાતિ/જનજાતિના જાતિ પ્રમાણપત્રો અને અન્ય પેન્શન યોજનાઓ.


