રજૂઆત કરીને થાકેલા સ્થાનિકો હવે તંત્ર સામે લડી લેવાના મૂડમાં
વોર્ડ નં.૧૪ના બંને પ્રોજેકટ સામે આંદોલન ઉગ્ર : કાલે ધરણા
૪૫થી વધારે વૃક્ષોના છેદન અને કોમ્યુનિટી હોલના પ્રોજેકટના વિરોધમાં તંત્ર સામે કરાશે વિરોધ પ્રદર્શન : સ્થાનિક તંત્રથી ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરાતા હોવાના આક્ષેપ : અગ્રણીઓ ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૪ના કોઠારીયા કોલોની અને વાણીયા વાડી (જૂનો પારડી માર્ગ) વચ્ચેના વોંકળા પર ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલના નવનિર્માણમાં તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા આ બંને પ્રોજેકટનું ખાતમુર્હૂત થયા બાદ જે સ્થળે પ્રોજેકટ હાથ ધરવામાં આવશે તે સ્થળે લત્તાવાસીઓ દ્વારા પાંચેક દાયકાથી ઉછેરેલા નાના-મોટા ૭૫ તોતીંગ વૃક્ષો હયાત છે તે વૃક્ષોનું નિકંદન કાઢી નાખવાની મનપાની પેરવી અને વોંકળા પર બે માળનું બિલ્ડીંગ ખડકી દઇ પ્રોજેકટ બનાવવાની મહાનગરપાલિકાની મેલી મુરાદ અને વિકાસના પગલે વૃક્ષોનું છેદનની સાજીસને પગલે લત્તાવાસીઓમાં વિરોધની આંધી ફૂંકાઇ છે અને વિસ્તારના કોઠારીયા કોલોની મહિલા મંડળના બહેનો દ્વારા અધિકારીઓની સાઇટ વિઝીટ દરમ્યાન બહેનોએ થાળી વગાડી વિરોધ નોંધાવેલ છે અને થાળી વગાડવાનો કાર્યક્રમ યથાવત છે.
કોઠારીયા કોલોની યુવા ગ્રુપ, માસ્તર સોસયાટી, પર્યાવરણ પ્રેમી દ્વારા મહાનગરપાલિકાના કમિશનર, મેયર સમક્ષ લેખીત રજુઆત કરી જેની નકલ મુખ્યમંત્રી અને વન પર્યાવરણ મંત્રીને મોકલાઇ છે. જે અંગે મનપા દ્વારા કોઇ પ્રત્યુતર ન મળતા લત્તાવાસીઓમાં આક્રોશ ભભૂકયો છે. રજુઆત તુમારશાહીનો ભોગ બનતા આવતીકાલે તા.૧૯-૮ને બુધવારે સાંજે પ:3૦ થી ૭:૦૦ દરમ્યાન કોઠારીયા કોલોની જયાંથી પ્રોજેશટ શરૂ થશે. તે જ સ્થળે ૮૦ ફૂટ રોડ પર નટેશ્વરધામની સામે ભોલેબા સિલેકશનની બાજુમાં ધરણાનો કાર્યક્રમ યોજાશે.
કાર્યક્રમને જાગૃત નાગરિકો, પર્યાવરણપ્રેમી અને શહેરની સામાજીક સંસ્થાનો ખુલ્લો ટેકો મળેલ છે. યુવા ગ્રુપ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કરેલી લેખીત રજુઆતમાં હાલ ૭૫ હયાત વૃક્ષો છે તેમાં દરેક વૃક્ષો પર નંબર આપેલા છે. કયાં નંબરના કેટલા વૃક્ષોનું છેદન કરાશે તેની સ્પષ્ટતા કરવા ઇન્વર્ડ નં.૧૯૧૭ તા.-૭-૮-૨૦૨૬થી જણાવેલ છે. જે લેખીત રજુઆત તુમારશાહીનો ભોગ બનતા આંદોલનની જ ભાષા સમજતી મહાનગરપાલિકા સામે આંદોલન કરવાની ફરજ પડી છે. કમિશનરને વિસ્તારમાં પાણી નહી ભરાઇ અને કેટલા વૃક્ષો કપાશે તેની લેખીતમાં સ્પષ્ટતા કરવી પડશે.
આશ્ચર્યની બાબત તો એ છે કે જે સ્થળે કોમ્યુનિટી હોલનું નિર્માણ થશે તેની સાવ નજીક ફકત અડધો કિલોમીટરે જ વોર્ડ નં.૧૪ અને ૧૭ની બોર્ડર પર વોર્ડ નં.૧૭માં મહાનગરપાલિકાનો સૌથી મોટો રણછોડદાસબાપુ કોમ્યુનિટી હોલ છે. જે દોઢેક વર્ષ પહેલા વોટર વેમાં વોંકળામાં નટેશ્વર મંદિરની દિવાલ તોડી ધ્વસ્ત કરનાર મનપા હવે વોંકળા પર બે માળનું બિલ્ડીંગ ખડકશે તો આ વિસ્તારના રહીશોને ઘરમાં વરસાદી પાણી ભરાશે નજીવા વરસાદે માસ્તર સોસાયટીના બંગલામાં પાણી ઘુસી જાય છે. તેવા આક્ષેપ ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા ગજેન્દ્રસિંહ ઝાલા, પ્રવિણભાઇ લાખાણી, નટુભા ઝાલા, જયંતીભાઇ હીરપરા, દિલીપભાઇ આસવાણી, હબીબભાઇ કટારીયા, આસીફભાઇ શેખ, જીતુભાઇ ઠક્કર અને એડવોકેટ ઇન્દુભા રાઓલએ કર્યા હતાં.
૧૫૦૦થી વધારે ઘર પર પૂરના પાણીનું જોખમ
પ્રોજેકટ નિર્માણ થનાર આસપાસ અંદાજે ૧૫૦૦થી વધારે પરિવારો વસવાટ કરે છે. જો ત્યાં બંને પ્રોજેકટ બનાવવામાં આવશે તો ૧૫૦૦ ઘરમાં પૂરના પાણી ઘુસવાની સંભાવના છે અને હાલ પણ ત્યાં નજીવા વરસાદમાં વિવિધ સોસાયટીમાં પાણી ઘૂસવાની સમસ્યા છે અને આ સમસ્યાથી વધારો થશે.


