વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અને ઈકોનોમિક ફોરમના સ્વામી વિજ્ઞાનાનંદજી કરશે સૌરાષ્ટ્રનો પ્રવાસ
IIT ખડગપુરના બી.ટેકથી પાણિની વ્યાકરણના આચાર્ય અને દર્શનશાસ્ત્રમાં Ph.D. સુધીની વિરલ શૈક્ષણિક સફર : હિન્દુ સ્ટડીઝને યુનિવર્સિટીઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા
અગ્ર ગુજરાત, રાજકોટ
પ્રખર વિદ્વાન અને વૈશ્વિક સ્તરે હિન્દુ સમાજના સંગઠન તથા શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય સ્વામી વિજ્ઞાનાનંદજી ટૂંક સમયમાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
સ્વામી વિજ્ઞાનાનંદજી વિશ્વ હિન્દુ પરિષદમાં સંયુક્ત મહાસચિવ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક અને પ્રચારક તરીકે પણ તેમણે લાંબા સમયથી સંગઠનાત્મક ક્ષેત્રે કાર્ય કર્યું છે. આધુનિક વિજ્ઞાન-ટેક્નોલોજી અને ભારતીય જ્ઞાન પરંપરાનો અનોખો સમન્વય તેમના વ્યક્તિત્વની વિશેષતા માનવામાં આવે છે.
સ્વામીજીની શૈક્ષણિક સફર પણ નોંધપાત્ર રહી છે. તેમણે દેશની પ્રતિષ્ઠિત IIT ખડગપુરમાંથી બી.ટેક.ની પદવી મેળવી છે. ત્યારબાદ ભારતીય જ્ઞાનપરંપરા તરફ આગળ વધીને સંસ્કૃત, વ્યાકરણ અને હિન્દુ દર્શનનો ઊંડો અભ્યાસ કર્યો. તેમણે પાણિની વ્યાકરણમાં આચાર્ય તથા દર્શનશાસ્ત્રમાં વિદ્યાવારિધિ (Ph.D.)ની પદવી પ્રાપ્ત કરી છે.
વિશ્વભરમાં વસતા હિન્દુ સમાજને વિવિધ ક્ષેત્રોમાં એક મંચ પર લાવવાના ઉદ્દેશ સાથે સ્વામી વિજ્ઞાનાનંદજીએ વર્લ્ડ હિન્દુ કોંગ્રેસની પરિકલ્પના કરી તેની શરૂઆત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમના માર્ગદર્શન હેઠળ વર્ષ 2014માં દિલ્હી, 2018માં શિકાગો અને 2023માં બેંગકોક ખાતે વર્લ્ડ હિન્દુ કોંગ્રેસના વૈશ્વિક સંમેલનો યોજાયા છે.
આ સંમેલનો દ્વારા વિશ્વભરના હિન્દુ આગેવાનો, ઉદ્યોગકારો, શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો, મીડિયા ક્ષેત્રના પ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને એક મંચ પર જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મંચ પર આવતા વિવિધ દેશોના હિન્દુઓ પોતાનો વ્યવસાય અને ઉદ્યોગ વિશ્વ સ્તરે લઇ જવામાં સફળ થાય છે. આમ આ મંચ B 2 B પ્રકારે વેપાર – વ્યવસાય વધારવાની તક પણ આપે છે.


