ખેતીની જમીનના સોદામાં રાજકોટના કારખાનેદાર સાથે 35 લાખની છેતરપિંડી
ઉપલેટાના ખીરસરાના ખેડૂત અને જમીન દલાલે રોડ ટચ જમીનનો સોદો કરાવી 42.50 લાખ પડાવ્યાનો આક્ષેપ
7.50 લાખ સુથી પરત કરી બાકીની રકમ અંગે હાથ ઊંચા કરી દસ્તાવેજ કરવાનો ઇનકાર, ભાયાવદર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના કારખાનેદારને રોડ ટચ ખેતીની જમીન ખરીદવાની લાલચ આપી ઉપલેટા તાલુકાના ખીરસરા ગામના ખેડૂત અને જમીન દલાલે રૂ.42.50 લાખ મેળવી લીધા બાદ દસ્તાવેજ કરી આપવાનો ઇનકાર કરી રૂ.35 લાખની છેતરપિંડી આચર્યાનો બનાવ સામે આવ્યો છે. શરૂઆતમાં જમીનના સોદા પેટે રૂ.7.50 લાખ સુથી આપ્યા બાદ અલગ અલગ કારણોસર વધુ રૂ.35 લાખ આંગડિયા મારફતે લેવાયા હતા. જોકે, લાંબા સમય સુધી દસ્તાવેજ ન થતાં અંતે જમીન માલિકે સુથીની રકમ પરત કરી બાકીના રૂ.35 લાખ આપ્યા હોવાનો ઇનકાર કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
આ અંગે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે શિવ સંગમ સોસાયટી શેરી નં.1માં રહેતા 65 વર્ષીય નરશીભાઈ ડાયાભાઈ દોંગાએ ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ખીરસરા ગામના ભુપેન્દ્ર કરસન માખસણા અને મામદ ઈસ્માઈલ નોઈડાને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ નરશીભાઈ રાજકોટના સોરઠીયાવાડી-2 વિસ્તારમાં વૈભવ ગ્લાસ પ્રોડક્ટ નામે કારખાનું ચલાવે છે. તેઓ તેમજ તેમના સાઢુભાઈ રઘુભાઈ વિરડીયા અને મુકેશભાઈ ઠુંમર ભાગીદારીમાં ખેતીની જમીન ખરીદવા ઇચ્છતા હતા. આ માટે રઘુભાઈએ જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા મામદ નોઈડાનો સંપર્ક કર્યો હતો.
મામદે થોડા દિવસ બાદ ખીરસરા ગામમાં આશરે નવ વીઘા રોડ ટચ જમીન હોવાની વાત કરી હતી. જમીન બતાવવા માટે ત્રણેયને ખીરસરા લઈ જવામાં આવ્યા હતા. ત્યાં બતાવાયેલી જમીન પસંદ પડતાં મામદે તેના માલિક તરીકે ભુપેન્દ્ર માખસણાનું નામ જણાવ્યું હતું અને મોબાઇલ ફોન પર તેમની સાથે વાત પણ કરાવી હતી. જમીનના ભાવ અંગે વાટાઘાટ બાદ એક વીઘાના રૂ.6.85 લાખ પ્રમાણે મૌખિક સોદો નક્કી થયો હતો.
ત્યારબાદ તા.6 માર્ચ 2024ના રોજ ત્રણેય ભાગીદાર ખીરસરા ખાતે ભુપેન્દ્રની વાડીએ પહોંચ્યા હતા. ત્યાં રૂ.7.50 લાખ રોકડા સુથી પેટે આપવામાં આવ્યા હતા. આ વ્યવહાર અંગે કાચું લખાણ પણ કરવામાં આવ્યું હતું. તેમાં ખીરસરા ગામના સર્વે નં.40/1ની આશરે સાડા આઠ વીઘા જમીન વેચાણથી આપવાની વાત લખવામાં આવી હતી. જમીન માલિક, બંને ભાગીદાર તથા સાક્ષીઓની સહીઓ પણ કરવામાં આવી હતી અને જમીનનો કબજો સોંપવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સોદો થયા બાદ મામદે આ જમીન એક વર્ષ માટે વાવેતર કરવા લીધી હતી. દરમિયાન થોડા સમય પછી મામદનો ફોન આવ્યો હતો કે ભુપેન્દ્રને સુરતમાં મિલકત ખરીદવાની હોવાથી તાત્કાલિક રૂ.20 લાખની જરૂર છે. દલાલ પર વિશ્વાસ રાખીને ભાગીદારોએ રાજકોટની આર.પી. એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢી મારફતે મામદના નામે રૂ.20 લાખ મોકલ્યા હતા.
આ પછી આશરે બે મહિના બાદ ભુપેન્દ્રનો ફોન આવ્યો હતો અને તેના ભાઇની પત્ની ગંભીર બીમારીમાં હોવાનું કહી રૂ.15 લાખની જરૂરિયાત હોવાનું જણાવાયું હતું. ફરીથી વિશ્વાસના આધારે સુરત ખાતે આંગડિયા મારફતે રૂ.15 લાખ મોકલવામાં આવ્યા હતા. આ રીતે જમીનના સોદા પેટે કુલ રૂ.42.50 લાખ ચૂકવવામાં આવ્યા હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે.
સમય પસાર થતો ગયો છતાં દસ્તાવેજ કરવામાં આવતો ન હતો. બીજા વર્ષે જમીન ખીરસરા ગામના રમેશભાઈ તથા મુંજાભાઈ રબારીને વાવેતર માટે આપવામાં આવી હતી અને હાલ પણ તેઓ વાવેતર કરતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બીજી તરફ જમીન ખરીદવા માટેની સંપૂર્ણ રકમ ચૂકવાઈ હોવા છતાં ભુપેન્દ્ર અને મામદ દસ્તાવેજ માટે સતત વાયદા કરતા રહ્યા હતા. આખરે આશરે એક વર્ષ પહેલાં રઘુભાઈ રૂબરૂ મળવા ગયા ત્યારે મામદે દસ્તાવેજ થઈ જશે તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ અગાઉ લીધેલી રૂ.7.50 લાખની સુથી પરત કરી હતી અને હવે બાકીના રૂ.35 લાખની રકમ મળી ગઈ હોવાનું કહી દસ્તાવેજ માટે બાકીની રકમ ચેકથી વ્હાઇટ માં આપવાની માગણી કરી હતી.
છેલ્લા છ મહિનાથી દસ્તાવેજ માટે સતત ઉઘરાણી કરવા છતાં બંને આરોપીઓએ અંતે દસ્તાવેજ કરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, સુથીની રૂ.7.50 લાખ પરત કરતી વખતે તેનો વીડિયો બનાવી લેવાયો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આંગડિયા મારફતે મોકલવામાં આવેલી રૂ.35 લાખની રકમનો જૂનો રેકોર્ડ મળવો મુશ્કેલ હોવાનું કહી આરોપીઓએ દસ્તાવેજ નહીં કરવાની વાત કરી હોવાનો આક્ષેપ છે.
આ રીતે વિશ્વાસમાં લઈ અલગ અલગ કારણો દર્શાવી કુલ રૂ.42.50 લાખ મેળવી, તેમાંથી માત્ર રૂ.7.50 લાખ પરત કરી બાકીના રૂ.35 લાખની રકમ હડપ કરી લેવાના આક્ષેપ સાથે કારખાનેદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભાયાવદર પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી આંગડિયા વ્યવહાર, કાચા લખાણ, જમીનની માલિકી અને કબજાની વિગતો સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે.


