- અયોધ્યામાં રામમંદિરની સાથે વિકાસના કાર્યો પણ તેજગતિએ
- મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યુ છે
- ડિસેમ્બરના અંતમાં એરપોર્ટ થઇ જશે તૈયાર- જ્યોતિરાદિત્ય સિંધિયા
અયોધ્યામાં રામમંદિરના નિર્માણની સાથે સાથે અન્ય વિકાસના કાર્યો તેજગતિએ ચાલી રહ્યા છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણ પ્રસંદે દેશ વિદેશના લોકો આવી પહોંચશે. લોકોની અવરજવરને ધ્યાને રાખીને અયોધ્યામાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું નામ આપવામાં આવ્યું છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ . ત્યારે આ એરપોર્ટ ડિસેમ્બરના અંતમાં તૈયાર થઇ જશે તેમ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું છે.
કોણ કરશે ઉદ્ઘાટન ?
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે એરપોર્ટની કામગીરીને લઇને રોજે રોજે માહિતી લઇ રહ્યો છે. કામગીરી કેવી થઇ છે અને કેટલી બાકી તે તમામ અંગે હું માહિતી મેળવી રહ્યો છું, આ મહિનાના અંત સુધીમાં તો એરપોર્ટ તૈયાર થઇ જશે. સાથે જ જણાવ્યુ કે પીએમ મોદીના હસ્તે જ એરપોર્ટનો શુભારંભ કરાશે.
પ્રથમ તબક્કાનું કામ લગભગ પૂર્ણ
શ્રી રામ એરપોર્ટના ડિરેક્ટર વિનોદ કુમારે જણાવ્યું હતું કે શ્રી રામ એરપોર્ટનું કામ તેના અંતિમ તબક્કામાં છે. રનવે અને પાર્કિંગ વે સંપૂર્ણપણે તૈયાર છે. બિલ્ડિંગનું કામ પણ અંતિમ તબક્કામાં છે. બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. ડીજીસીએની ટીમ તપાસ માટે ગઈ છે. આશા છે કે ટૂંક સમયમાં અમને લાઇસન્સ મળી જશે અને ફ્લાઈટ્સ શરૂ થઈ જશે. ઈન્ડિગો એરલાઈન્સે અમને તેનો ફ્લાઈટ પ્લાન મોકલી આપ્યો છે.
કયા શહેરો માટે ફ્લાઇટની સુવિધા ?
મહત્વનું છે કે શરૂઆતના તબક્કામાં અયોધ્યાથી દિલ્હી દરરોજ અને અમદાવાદ માટે અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઈટ ઓપરેટિંગની માહિતી મળી છે. આ સિવાય બેંગલુરુ, મુંબઈ અને ચેન્નાઈની ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ ટૂંક સમયમાં અયોધ્યાથી શરૂ થઈ શકે છે. પ્રારંભિક તબક્કામાં ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ અયોધ્યાથી ઉડાન ભરશે.


