- સાત આરોપી રિમાન્ડ પર, એકને જેલમાં ધકેલાયો
- રિમાન્ડ દરમિયાન રાજદીપસિંહને ગભરામણ શરૂ થઈ હતી
- સિરપ બનાવવા માટે યોગેશ સિંધી તગડો પગાર ચુકવતો હતો
નડિયાદ બિલોદરા કથિત લઠ્ઠાકાંડના સાત આરોપી પૈકી છ આરોપી હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે. એક આરોપીને જેલમાં ધકેલી દેવાયો છે. જયારે છ આરોપી પૈકી ફેકટરીમાં નશીલી સિરપ બનાવનાર રાજદિપસિંહ વાળાને રિમાન્ડ દરમિયાન ગભરામણ સાથે છાતીમાં દુખાવો ઉપડયો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
નડિયાદ બિલોદરામાં દેવદિવાળીના રાત્રિ લઠ્ઠાવાળી સિરપ પીવાથી સાત લોકોનાં મોત નીપજ્યાં હતા. આ ઘટના સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે નડિયાદના યોગેશ સિંધી સહિત સાત આરોપી વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. આ કેસના સાત આરોપી પૈકી હાલ આરોપી યોગેશ સિંધી, કિશોર સોઢા, નીતિનકોટવાણી, ભાવેશ સેવકાણી, તૌફિક મુકાદમ અને રાજદિપસિંહ વાળા પોલીસ રિમાન્ડ ઉપર છે. જયારે આરોપી ઇશ્વર સોઢાના રિમાન્ડ પૂર્ણ થતાં જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.
આ કેસમાં રિમાન્ડ પરના આરોપી પૈકી આરોપી રાજદિપસિંહ વાળા કેફીપદાર્થ મિશ્રાણ કરીને નશીલી સિરપ બનાવતો હતો.રાજદિપ ધો. 12 પાસ હોવાછતાં સિરપ બનાવવામાં માહિર હતો. આ સિરપ બનાવવા માટે યોગેશ સિંધી તગડો પગાર ચુકવતો હતો. રવિવારે રાત્રે રિમાન્ડ દરમિયાન રાજદિપસિંહ ઉર્ફે બાપુ મહેન્દ્રસિંહ વાળાને ગભરામણ સાથે છાતીમાં દુખાવો થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાલ આ આરોપીની તબિયત સુધારા પર છે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું .


