- છેલ્લા ત્રણ મહિનામાં 89,605 નવા વાહનોનું રજિસ્ટ્રેશન થયું
- ઉચ્ચ અધિકારીઓને વારંવાર નોટિસ ઈશ્યૂ ન કરવા મૌખિક સૂચના આપ્યાની ચર્ચા
- માન્યતા વગરના બે વાહન ડિલરો કારનું વેચાણ કરતા હતાં
વાહનવ્યવહાર વિભાગ દ્વારા વાહન ડિલરોને નવા વાહનના રજિસ્ટ્રેશનની ઓથોરિટી ગત 14મી સપ્ટેમ્બર,2023થી સોંપી દેવાઇ છે. છેલ્લા 3 મહિનામાં અમદાવાદના વાહન ડીલરો દ્વારા વેચાણ કરાયેલા 89,605 નવાં વાહનોના ફોર્મનું પુરાવા સાથે આરટીઓના સર્વરમાં રજિસ્ટ્રેશન કરાયું છે. સબમીટ કરાયેલા ફોર્મમાંથી ત્રણેય આરટીઓ કચેરી દ્વારા અત્યાર સુધીમાં 72,597 ફોર્મની ચકાસણી કરાઇ છે અને 17,200 વાહનના ફોર્મમાં ગંભીર ભૂલ બદલ વિવિધ વાહન ડીલરોને નોટિસ ઇસ્યુ કરાઇ છે. વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વાહન ડીલરોને વારંવાર નોટિસ ઇસ્યૂ નહીં કરવા સહિત કડક કાર્યવાહી ટાળવા માટે આરટીઓ કચેરીને મૌખિક સૂચનાઓ અપાઇ હોવાની ચર્ચા છે. જેના પગલે ઓનલાઇન ભરાયેલા ફોર્મમાં વાહન ડીલરો તરફથી થતી ગંભીર ભૂલોમાં જ નોટિસ અપાય છે.
જો નોટિસનો જવાબ યોગ્ય ના હોય તો સબંધિત વાહન ડીલરને સસ્પેન્ડ કરવાના પગલાં ભરવા વાહન વ્યવાહર કમિશનર કચેરીને દરખાસ્ત કરે છે. જોકે હજી સુધી એક પણ દરખાસ્ત કરાઇ નથી. પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, સરકારની જાણ બહાર વાહન વ્યવહાર કમિશનર કચેરીએ આરટીઓ કચેરી પાસેથી સત્તા છીનવી લીધી છે. માત્ર નોટિસ પૂરતી જ સત્તા આપી રાખી છે.
નિયમ વિરુદ્ધ સબડિલર રાખવા બદલ બે વાહન ડિલરોને નોટિસ
સુભાષબ્રિજ આરટીઓમાં બે વાહન ડીલરોએ નિયમ વિરુદ્ધ સબડીલર રાખતા તપાસ ચાલે છે. માન્યતા વગરના બે વાહન ડિલરો કારનું વેચાણ કરતા હતાં. બંને વાહન ડીલરોને નોટિસ આપી છે.
નવા વાહનના ફોર્મમાં વાહન ડિલરો તરફથી થતી ભૂલો
એક વાહનના ડોક્યુમેન્ટ બીજા વાહનમાં અપલોડ કર્યા હોય ,અરજદારની સહીની ભૂલ હોય ,નિયમ મુજબ સરનામના પુરાવા આપ્યા ના હોય ,ટેક્સ ઓછો ભરપાઇ થયો હોય ,સમય મર્યાદામાં રજિસ્ટ્રેશન કરાવ્યું ના હોય ,પૂરતા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા ના હોય ,મ્યુનિ.કોર્પોરેશનનો વાહન ટેક્સ ના ભર્યો હોય ,વિસ્તારની ભૂલ હોય.


