- લિબિયામાં જહાજ ડૂબી જતાં 61 પ્રવાસીઓના મોત
- IOMએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી
- જહાજ લિબિયાના જ્વારા શહેરથી રવાના થયું હતું
લિબિયામાં એક ભયાનક અકસ્માત થયો છે. જહાજ ડૂબી જવાથી 61 પ્રવાસીઓના મોત થયા છે જેમાં અનેક બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. બચી ગયેલા લોકોને ટાંકીને IOMએ જણાવ્યું હતું કે જહાજમાં કુલ 86 લોકો સવાર હતા. આ જહાજ લિબિયાના જ્વારા શહેરથી રવાના થયું હતું.
તમને જણાવી દઈએ કે જે લોકો દરિયાઈ માર્ગે યુરોપ પહોંચવા માગે છે તેમના માટે લિબિયા એક મુખ્ય લોન્ચિંગ પોઈન્ટ છે. આફ્રિકા અને મધ્ય પૂર્વમાં સ્થિત દેશોના લોકો યુદ્ધ અને અશાંતિથી બચવા લિબિયા થઈને યુરોપ જવા માગે છે. દરિયાકાંઠાના વિસ્તારોને નિયંત્રિત કરતા લશ્કરી જૂથો દ્વારા આ માર્ગો પર માનવ તસ્કરીનું નેટવર્ક ચલાવવામાં આવે છે. તેઓ સ્થળાંતર કરનારાઓને ખતરનાક ભૂમધ્ય સમુદ્ર દ્વારા જોખમી મુસાફરી પૂરી પાડે છે.
પ્રવાસીઓના ડૂબી જવાની આ પહેલી ઘટના નથી
પ્રવાસીઓના ડૂબી જવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવા અનેક કિસ્સા સામે આવ્યા છે. આવી જ એક ઘટના જૂનમાં બની હતી જ્યારે 79 પ્રવાસીઓ ડૂબી ગયા હતા અને સેંકડો અન્ય લોકો ગુમ થયા હતા. ફેબ્રુઆરીમાં તોફાન દરમિયાન તેમની બોટ ઈટાલીના કેલેબ્રિયન કિનારે ખડકો સાથે અથડાઈ હતી, જેમાં 96 લોકો માર્યા ગયા હતા. આવા બીજા ઘણા કિસ્સાઓ છે.
2011થી લિબિયામાં અશાંતિનું વાતાવરણ
2011માં નાટો સમર્થિત વિદ્રોહ પછી લિબિયામાં નોંધપાત્ર અસ્થિરતા છે. તાનાશાહ મોઅમ્મર ગદ્દાફીની હત્યા બાદ લીબિયામાં અશાંતિનું વાતાવરણ છે. ગદ્દાફી 2011ના આરબ સ્પ્રિંગમાં માર્યા ગયા હતા.


