- 95 વર્ષ જૂના બંધારણને બદલવાનો ખેલ
- વિદ્યાપીઠમાં હવે VC નહીં પણ મંત્રી સર્વેસર્વા
- પગાર-પેન્શન સિવાયના અન્ય ખર્ચ માટે દર મહિને VCએ મંત્રી પાસે પૈસા માગવા પડશે
ગૂજરાત વિદ્યાપીઠના નવા સત્તાધીશો દ્વારા 95 વર્ષ જૂના બંધારણને રાતોરાત બદલી નાખ્યું છે. બંધારણ બદલવા પાછળનો ખેલ ધીરે ધીરે પ્રગટ થઈ રહ્યો છે. બંધારણ બદલાયા બાદ વિદ્યાપીઠ મંડળની મળેલી બેઠકોમાં લેવાયેલા નિર્ણયો મુજબ હવે આગામી સમયમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક કે કુલ સચિવ એટલે કે વાઈસ ચાન્સેલર રજિસ્ટ્રાર મંડળના મંત્રીને પૂછયા વિના પાઈ પણ ખર્ચી નહી શકે.
બીજી તરફ મંડળના મંત્રીની સત્તા એટલી વધારી દેવામાં આવી છે કે, તેઓ એક સાથે રૂ.5 લાખનો ખર્ચ કોઈની મંજૂરી મેળવ્યા વિના કરી શકે છે, જ્યારે વાઈસ ચાન્સેલની ખર્ચ કરવાની સત્તા શૂન્ય કરાઈ છે. કર્મચારીઓની બઢતી, પગાર ધોરણ સહિતની સેવાકીય બાબતોના નિર્ણય પણ મંડળને આધીન કરી દેવામાં આવ્યાં.
વિદ્યાપીઠના નવા બંધારણમાં ખર્ચ કરવાની જે જોગવાઈ કરવામાં આવી છે એ મુજબ મંડળના પ્રમુખને રૂ.25 લાખ ખર્ચ કરવાની સત્તા અપાઈ છે. આ સિવાય મંત્રીને રૂ.5 લાખ જ્યારે વિભાગીય અધ્યક્ષ-સંયોજકને રૂ.10 હજાર ખર્ચ કરવાની સત્તા અપાઈ છે.
મહત્વની વાત તો એ છે કે, કુલનાયક અને કુલસચિવને એકપણ રૂપિયાનો ખર્ચ કરવાની સત્તા આપવામાં આવી નથી. એટલે કે, ખર્ચ કરવાની નિર્ણય પ્રક્રિયામાં તેમનો સમાવેશ સુદ્ધા કરવામાં આવ્યો નથી. એટલું જ નહી, છેલ્લા 6 વર્ષથી ગૂજરાત વિદ્યાપીઠમાં કેન્દ્ર સરકાર દ્વારા નોન-સેલેરી ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે. જેથી પગાર-પેન્શન સિવાયનો ખર્ચ મંડળના પૈસાથી કરવામાં આવી રહ્યો છે. જે મુજબ મંડળની બેઠકમાં જે નિર્ણયો-ઠરાવ કરવામાં આવ્યાં છે કે, ઉચ્ચ શિક્ષણને પગાર પેન્શન સિવાયના આવશ્યક ખર્ચની વિગત દર મહિને મંડળમાં રજૂ કરવા તેમજ તે અનુસાર મંત્રીએ નાણાકીય વર્ષ-2023-24 માટે રૂ.5 કરોડની મર્યાદામાં ઉચ્ચ શિક્ષણના પગાર પેન્શન સિવાયના આવશ્યક ખર્ચની વિગત મુજબ નાણાં ઉચ્ચશિક્ષણને તબદીલ કરવાની સત્તા રહેશે તેમ ઠરાવવામાં આવ્યું.
એટલે કે, દર મહિને વાઈસ ચાન્સેલરે ખર્ચની રકમ માટે મંત્રી પાસે માગણી કરવી પડશે. એટલે કે, વાઈસ ચાન્સેલરે ફેબ્રુઆરી માસમાં જે ખર્ચ કરવાનો હોય તેની માગણી મંત્રી પાસે પહેલાથી કરવાની રહેશે. આ સિવાય ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત તમામ સંસ્થાઓમાં સેવકોની નિમણૂક, બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ, નિવૃત્તિના લાભ સહિતની સેવા વિષયક બાબતોમાં જરૂરી નાણાકીય જોગવાઈ કરવાની સત્તા પણ વાઈસ ચાન્સેલર પાસેથી લઈ લેવામાં આવી છે, એ માટે પણ મંડળની મંજુરી લેવી પડશે.
કોમન એક્ટે યુનિ.ના VCની સત્તા વધારી, ગૂજરાત વિદ્યાપીઠમાં ગ્રાન્ટેડ શાળાના આચાર્ય જેવી સ્થિતિ બનાવી
ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની કુલ 11 સરકારી યુનિવર્સિટીઓમાં ગુજરાત સરકાર દ્વારા એક સમાન કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદાનો મુખ્ય ઉદેશ્ય યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોની સત્તા વધારવાનો છે. અત્યાર સુધીમાં સેનેટ-સિન્ડીકેટના કારણે વાઈસ ચાન્સેલરોની નિર્ણય શક્તિમાં અનેક અવરોધો રહેતા હતા. પરંતુ હવે નવા કાયદા મુજબ સેનેટ-સિન્ડીકેટને હટાવી દેવામાં આવી છે. આ સિવાય કાઉન્સિલ-બોર્ડમાં સભ્યોની નિયુક્તિની સત્તા પણ વાઈસ ચાન્સેલરોને સોંપવામાં આવી છે. બીજી તરફ ગૂજરાત વિદ્યાપીઠમાં આવેલા નવા સત્તાધીશો દ્વારા વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલરની સ્થિતિ એક ગ્રાન્ટેડ શાળાના આચાર્ય જેવી બનાવી દેવામાં આવી છે. વિદ્યાપીઠને વાઈસ ચાન્સેલર એકપણ નિર્ણય કરી ન શકે એ પ્રકારના છેલ્લા કેટલાક સમયથી ફેરફારો થઈ રહ્યાં છે.


