- રાતા સમુદ્રમાં અમેરિકી હુમલામાં 10 હૌથી બળવાખોર ઠાર કે લાપતા
- લોજિસ્ટિક કંપની માએર્સ્કના જહાજ પર હૌથી હુમલા પછી અમેરિકાનો વળતો જવાબ
- હવાઇ હુમલા અને જમીની હુમલા 21,800થી વધુ લોકોનો ભોગ લઇ ચૂક્યા છે
રાતા સમુદ્રમાં લોજિસ્ટિક કંપની માએર્સ્કના જહાજને ઇરાન સમર્થિત હૌથીએ નિશાન બનાવતાં અમેરિકી હેલિકોપ્ટર્સે વળતો હુમલો કરીને બળવાખોરોની ત્રણ નૌકાઓને તોડી પાડી હતી અને 10 બળવાખોરોને હણી નાખ્યા હતા. માએર્સ્ક કંપની તેમ જ હૌથી સંગઠનના પ્રવક્તાએ આ જાણકારી આપી હતી.
માએર્સ્ક કંપનીના સૂત્રો અને અમેરિકી કમાન્ડના જણાવ્યા મુજબ રાતા સમુદ્રમાં રવિવારે અથડામણ સર્જાઇ હતી. હૌથી બળવાખોરો સિંગાપુરના ધ્વજ ધરાવતા માએર્સ્ક કંપનીના જહાજ પર ચઢી જઇને કબજો કરવાનો ઇરાદો ધરાવતા હોવાથી અથડામણ સર્જાઇ હતી. તે પછી માએર્સ્ક કંપનીના જહાજ તરફથી તે મુશ્કેલીમાં હોવાનો સંદેશો મળતાં જહાજની સુરક્ષા ટીમ સાથે કામ કરવા અમેરિકી હેલિકોપ્ટર્સ પણ જોડાયા હતા. અમેરિકી હેલિકોપ્ટર્સે જહાજ પરના હૌથી હુમલાને નિષ્ફળ કર્યો હતો. માએર્સ્ક કંપનીના સૂત્રોએ જણાવ્યા મુજબ રાતા સમુદ્રમાં તેના જહાજ પર હૌથી બળવાખોરોએ હુમલો કર્યા પછી તેણે રાતા સમુદ્રમાં પોતાના જહાજોની અવરજવરને 48 કલાક માટે અટકાવી દીધી છે.
હૌથી બળવાખોરોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે માએર્સ્ક કંપનીના જહાજના સુકાનીએ બળવાખોરોએ આપેલી ચેતવણીની અવગણના કરતાં બળવાખોરોએ તે જહાજ પર હુમલો કર્યો હતો. રાતા સમુદ્રમાં અમેરિકી દળોએ હૌથી બળવાખોર પર હુમલો કરતાં 10 હૌથી બળવાખોરો માર્યા ગયા હતા કે પછી લાપતા છે.
7 ઓક્ટોબરે હમાસ સંગઠને સરહદ પાર કરીને ઇઝરાયેલી શહેરો પર હુમલો કરીને 1200 લોકોને મારી નાખ્યા અને 240 લોકોને બંધક બનાવ્યા તે પછી ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં સતત બોમ્બ વર્ષા કરી રહ્યું છે. રવિવારે રાતા સમુદ્રમાં સર્જાયેલી અથડામણ સૂચવે છે કે ઇઝરાયેલ યુદ્ધને કારણે પ્રદેશમાં હિંસાનો વિસ્તાર થઇ શકે છે. ગાઝાના આરોગ્ય સત્તાવાળાના જણાવ્યા મુજબ ઇઝરાયેલ દ્વારા થતા રહેતા હવાઇ હુમલા અને જમીની હુમલા 21,800થી વધુ લોકોનો ભોગ લઇ ચૂક્યા છે.


