- રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી માટે અમદાવાદની વેપારી કોમ્યુનિટીના અલગ અલગ આયોજનો
- અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વેપારી સંગઠનો 22 જાન્યુઆરીના આયોજન માટે બેઠકો યોજી રહ્યા છે
- પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વેપારી સંગઠનોમાં પણ ઉત્સાહ છે
આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને તેના અનુસંધાને અમદાવાદના વિવિધ વેપારી સંગઠનો બજારોએ અલગ અલગ આયોજન કરી રહી છે. ગુજરાતમાં કાપડની સૌથી મોટી હોલસેલ માર્કેટમાની એક ન્યુ ક્લોથ માર્કેટમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઉજવણી કરવામાં આવશે તો માણેકચોક ચોકસી મહાજન બજાર, માધુપુરા તેમજ રતનપોળના વેપારીઓએ આ દિવસે રજા રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત અન્ય સંગઠનો દ્વારા 22 જાન્યુઆરીના આયોજન માટે બેઠકો યોજવામાં આવી રહી છે.
ન્યૂ ક્લોથ માર્કેટ મસ્કતી મહાજનના જણાવ્યા પ્રમાણે, મહોત્સવના દિવસે 22 જાન્યુઆરીએ કાપડના વેપારીઓ દ્વારા બજારમાં રેલી કાઢવામાં આવશે. આ માટે પોલીસની મંજૂરી માંગવામાં આવી છે. આ સાથે જ બજારના જય માતા દી સેવા મંડળ દ્વારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે અંદાજે 3,000થી વધુ લોકો પ્રસાદ લેશે તેમજ માર્કેટમાં આવેલા મંદિરમાં આરતી કરવામાં આવશે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વેપારી સંગઠનોમાં પણ ઉત્સાહ છે. અમદાવાદનાજવેરીઓના સંગઠન શ્રી ચોકસી મહાજન માણેકચોક બજારે તેમના વેપારી સભ્યોને દુકાનો બંધ રાખી ઘરે જ ઉજવણી કરવા જણાવ્યું છે. આ ઉપરાંત માધુપુરા માર્કેટ અને રતનપોળના વેપારીઓએ પણ આ પ્રસંગે રજા પાડવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના અન્ય વેપારી સંગઠનો પણ 22 જાન્યુઆરીનાદિવસે વિવિધ કાર્યક્રમોના આયોજન માટે બેઠકો યોજી રહી છે.
રાજકોટ માર્કેટયાર્ડે 22મીએ રજા જાહેર કરી
રાજકોટ : આગામી તા.22ના રોજ રામજન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય તેની ઉજવણીમાં ખેડૂતો જોડાઈ શકે તે માટે 22મીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. યાર્ડના ડિરેકટરો, ખેડૂત આગેવાનો, વેપારીઓ દ્વારા 22મીએ રજા રાખવા માગણી કરી હોવાથી રાજકોટ યાર્ડના ચેરમેને રજા જાહેર કરી હતી. આ માટે પરિપત્ર કરીને ખેડૂતોને માલ લઈ નહિ આવવા માટે સેક્રેટરીએ જણાવ્યું હતું.
ઊંઝા માર્કેટયાર્ડમાં પણ કામ બંધ રહેશે
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. 22મી જાન્યુઆરીને સોમવારના રોજ યોજાનાર છે. જેમાં દરેક ધર્મપ્રેમી જનતા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકે તે આશયથી ઊંઝા માર્કેટયાર્ડને લગતું તમામ કામકાજ બંધ રાખેલ છે.


