- મણિપુરના મોરેહ શહેરમાં હિંસાએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું
- હિંસાખોરોએ સુરક્ષા ચોકી પર ગોળીબાર કરી બોંમ્બ ફેંક્યા
- મણિપુર ગૃહ વિભાગે કેન્દ્ર સરકાર પાસે ઈમરજન્સી મદદ માંગી
મણિપુરના મોરેહ શહેરમાં ફરીથી સ્થિતિ વણસી છે, કારણ કે IRB જવાનની હત્યા બાદ મણિપુર સરકારે કેન્દ્ર સરકાર પાસે ઈમરજન્સી સેવાઓ અને એક હેલિકોપ્ટરની મદદ માંગી છે.
ઘટનાની મળતી માહિતી મુજબ, મણિપુરના મોરેહ શહેરમાં બુધવારે ફરી એકવાર સ્થિતિ વણસી છે. આજે સવારે હિંસાખોરોએ IRB ચોકી પર હુમલો કર્યો હતો, જેમાં એક જવાન શહીદ થયો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મણિપુરના ગૃહ વિભાગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે મેડિકલ ઈમરજન્સી માટે હેલિકોપ્ટરની માંગણી કરી છે.
સુરક્ષા ચોકી પર બોમ્બ ફેંક્યા IRB જવાન શહીદ
મણિપુરમાં બુધવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. અહીં હિંસાખોરોએ સુરક્ષા માટે તૈનાત એક કમાન્ડોની હત્યા કરી નાખી હતી. આ ઘટના તેંગનોપલ જિલ્લાના મોરેહમાં બની હતી, ત્યાં હિંસાખોરોએ સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો અને સુરક્ષા ચોકી પર બોમ્બ પણ ફેંક્યા હતા, જેના પરિણામે IRBનું મોત થયું હતું. મણિપુરમાં હિંસાને પગલે મોરેહમાં એક IRB જવાનના મૃત્યુ બાદ મણિપુરના ગૃહ વિભાગે મેડિકલ ઈમરજન્સી માટે હવાઈ માર્ગે સૈનિકો અને હથિયારો મોકલવાની માંગણી કરી હતી.
બદમાશોએ ક્યારે હુમલો કર્યો?
મોરેહ શહેરમાં છેલ્લા અઢી મહિનામાં પોલીસ અધિકારીની આ બીજી હત્યા છે. શહેરમાં તૈનાત મણિપુર પોલીસ કમાન્ડો સાથે જોડાયેલા IRB જવાન ડબલ્યુ સોમરજીત 17 જાન્યુઆરીએ સવારે લગભગ 3.25 વાગે શહીદ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સોમરજીત તે સમયે કોન્ડોંગ લારેમ્બી દેવી મંદિર પાસે IRB ચોકીમાં તૈનાત હતો અને હુમલાખોરોએ તેના પર ગ્રેનેડથી હુમલો કર્યો, જેના પછી ગોળીબાર થયો હતો.
મણિપુરના ગૃહ વિભાગે MHAને પત્ર લખ્યો છે
આ ઘટના બાદ ગૃહ વિભાગના કમિશનર ટી રણજીત સિંહે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને વિનંતી કરી હતી કે, ઘટનાને ગંભીરતાથી અગ્રસ્થાને રાખીને તાત્કાલિક એક હેલિકોપ્ટર ઈમરજન્સી સેવાઓ માટે મોકલવામાં આવે અને તેને ઓછામાં ઓછા 7 દિવસ ઈમ્ફાલમાં રાખવામાં આવે.
મોરેહમાં સ્થિતિ વણસી શકે
ગૃહ મંત્રાલયને લખેલા પત્રમાં મણિપુરના ગૃહ વિભાગના કમિશનરે લખ્યું છે કે સરહદી શહેર મોરેહમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે કારણ કે અહીં સતત ગોળીબાર થઈ રહ્યો છે, જેના કારણે આઈઆરબીના એક કર્મચારીનું મોત થયું છે. હાલની સ્થિતિને જોતા મોરેહમાં સ્થિતિ વણસી શકે છે અને ગમે ત્યારે મેડિકલ ઈમરજન્સી ઊભી થઈ શકે છે. પોલીસ વિભાગે એ પણ માહિતી આપી છે કે મોરેહમાં સુરક્ષા કર્મચારીઓ, દારૂગોળો વગેરેને એરલિફ્ટ કરવાની જરૂર છે.
મણિપુરમાં હિંસાની શરુઆત
ઉત્તર-પૂર્વીય ભારતીય રાજ્ય મણિપુરમાં 3 મે 2023ના રોજ ઇમ્ફાલ ખીણમાં રહેતા બહુમતી મેઇતેઇ જાતિના લોકો અને કુકી જનજાતિના લોકો સહિત આસપાસના પહાડીઓના આદિવાસી સમુદાય વચ્ચે વંશીય સંઘર્ષ ફાટી નીકળ્યો હતો. જેને લઈને 4 જુલાઇના રોજ હિંસા થતાં 142 લોકો મૃત્યુ પામ્યા હતા અને 300 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગતવર્ષે 4 જુલાઇ 2023 સુધીમાં, આશરે 54,488 લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા હોવાની માહિતી હતી.
મણિપુર વિવાદ
આ વિવાદ ભારતીય બંધારણ હેઠળ અનુસૂચિત જનજાતિના દરજ્જાની મેઇટી લોકોની લાંબા સમયથી માંગ સાથે સંબંધિત છે, જે તેમને આદિવાસી સમુદાયો તરીકે સમાન વિશેષાધિકારો પ્રદાન કરશે. એપ્રિલમાં, મણિપુર હાઈકોર્ટે આપેલા ચુકાદામાં રાજ્ય સરકારને ચાર અઠવાડિયામાં આ મુદ્દે નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. આદિવાસી સમુદાયોએ મૈતાઈની માંગનો વિરોધ કર્યો. ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ મણિપુર (એટીએસયુએમ) એ 3 મેના રોજ તમામ પહાડી જિલ્લાઓમાં એકતા કૂચ કરી હતી. માર્ચના અંત સુધીમાં, ઇમ્ફાલ ખીણની સરહદે આવેલા ચુરાચંદપુર જિલ્લામાં અને તેની આસપાસના મેઇતાઇ અને કુકીની વસ્તી વચ્ચે અથડામણો શરૂ થઈ હતી.


