- જિલ્લા પંચાયત હસ્તકની 665 શાળાઓમાં 1031 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો
- મ્યુનિસિપલ કોર્પોરેશનની 44 શાળાઓમાં 1200 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો
- જામનગર જિલ્લામાં હવે 665 માંથી 388 શાળાઓમાં 1105 સ્માર્ટ ક્લાસીઝ
શિક્ષણના વેપારીકરણ બાદ ખાનગી સ્કૂલમાં બાળકોને અભ્યાસ કરવાનું વાલીઓને હવે ભારે પડી રહ્યું છે. ત્યારે જામનગર જિલ્લામાં ખાનગી શાળામાંથી 2200 વિધાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. અને તેનું મુખ્ય કારણ છે સતત મોંઘુ થતું શિક્ષણ.
ખાનગી શાળાઓનું શિક્ષણ સતતને સતત મોંઘું થતું જાય છે. તે ઉપરાંત સરકારી શાળાઓમાં ભરતી થતા શિક્ષકો હાઈલી ક્વોલીફાઈડ હોવા સાથે તેઓને પણ સતત શિક્ષણ અપાતું હોવાથી સરકારી શાળાઓના શિક્ષણની ગુણવત્તા ખુબ જ ઉંચી જવા લાગી છે. તે સાથે ખાનગીમાંથી સરકારી શાળાઓમાં એડમીશન લેવાનો પ્રવાહ છેલ્લા 3 વર્ષથી ચાલુ થયો છે. જે અંતર્ગત જામનગર શહેર-જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ આપતી જિલ્લા પંચાયત હસ્તકની 665 શાળાઓમાં 1031 વિદ્યાર્થીઓએ તો કોર્પોરેશનની 44 શાળાઓમાં 1200 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને પ્રવેશ મેળવ્યો છે. જામનગર શહેર અને જિલ્લામાં ઘણા બાળકો જામનગરની ખાનગી શાળામાં અભ્યાસ કરતા હોય મોંઘી ફી પરવડતી ન હોવાથી ખાનગી શાળા છોડી હોવાનું પણ કારણ બહાર આવી રહ્યું છે
બીજી તરફ વિદ્યાર્થીઓના ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં એડમીશન લેવાના સર્જાયેલા ટ્રેન્ડ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિપુલભાઈ મહેતા જણાવે છે કે, સરકાર દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓની પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસીઝનું નિર્માણ કરીને વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણનું સ્તર ઉંચું લાવવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં હવે 665 માંથી 388 શાળાઓમાં 1105 સ્માર્ટ ક્લાસીઝ થયા છે. આ સ્માર્ટ ક્લાસમાં વિશાળ ટચ સ્ક્રીન ઉપર શિક્ષકો જુદા- જુદા વિષયો પસંદ કરીને સરકારની જી-શાળા એપ્લીકેશનમાં અપાયેલા અભ્યાસક્રમ મુજબ શિક્ષણ આપવામાં આવે છે.
વિદ્યાર્થીઓ માટે તેના ધોરણ મુજબ જ્ઞાન સાથે ગમ્મત જેવી વ્યવસ્થા પણ સોફ્ટવેરમાં છે. આ ઉપરાંત પરીક્ષાલક્ષી તૈયારી માટે ગુજરાત શિક્ષણ બોર્ડનું કન્ટેન્ટ પણ આ સ્ક્રીન સાથે જોડાયેલા લેપટોપમાં હોય છે. આ જ રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે કોર્પોરેશનની 44 શાળાઓ પૈકી 39 શાળામાં સ્માર્ટ ક્લાસ ચાલે છે. બાકીની 5 શાળામાં ટુંક સમયમાં સ્માર્ટ ક્લાસો ચાલુ થઈ જશે.આને કારણે શિક્ષણનું સ્તર સુધર્યું છે.
આમ સરકારની નીતિ રીતે ખાનગી શાળા સંચાલક મંડળોની જીત સહિતના કારણે તેનો અંત આવતો નથી અને બાળકોનું ભવિષ્ય સાથે ચેડા થઇ રહી છે તે તમામ બાબતો વચ્ચે વાલીઓએ કંટાળીને સમય સાથે સમાધાન કરીને મોંઘવારી આર્થિક તંગીના માહોલમાં જામનગરમાં 2231 બાળકોએ ખાનગી સ્કૂલને અલવિદા કરીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યા હોવાનું બહાર આવ્યું છે સરકાર અને સરકારી શિક્ષકો ખરેખર વિદ્યાર્થીઓના શિક્ષણ માટે જહેમત ઉઠાવે છે. આગામી સમયમાં જેમ જેમ વાલીઓનો વિશ્વાસ વધતો જશે. તેમ તેમ સરકારી શાળાઓમાં એડમીશનો ફુલ થવા લાગશે તેવી આશા છે.


