- કેલિફોર્નિયામાં 1100થી વધુ લોકોએ ભગવા ઝંડા સાથે વિશાળ કાર રેલીમાં ભાગ લીધો
- ત્રિનિદાદ અને ટોબેગોમાં પણ ભજનકીર્તન
- અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં આજે રામલલા પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઇ
અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં આજે રામલલા પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઇ. આ પ્રસંગે દેશવિદેશમાં ભારતવંશીઓએ ઉત્સવો મનાવીને ભાગ લીધો હતો. ન્યૂયોર્કના ટાઇમ સ્ક્વેરમાં ભારતીય મૂળના લોકોએ ભગવાન રામની મોટી ઇમેજને રોશન કરી હતી. ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ રામમંદિરના સભ્યોએ ટાઇમ સ્ક્વેર ખાતે લાડુ વહેંચ્યા હતા. વોશિંગ્ટન, લોસ એન્જલસ, ઇલિનોઇસ, ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને જ્યોર્જિયા સહિતના રાજ્યોમાં ભારતમાં સમારંભ શરૂ થયો તે પ્રસંગે જ કાર્યક્રમો યોજાયા હતા. એરિઝોના, મિસૌરી જેવા રાજ્યોમાં પણ ઉત્સવોનું આયોજન થયું હતું. કેલિફોર્નિયામાં 1100થી વધુ લોકોએ રામમંદિરના ચિત્ર ધરાવતા ભગવા ધ્વજ સાથે વિશાળ કાર રેલીનું આયોજન કર્યું હતું. વિસ્તારના 6 સ્વયંસેવી સંગઠનોએ તેનું આયોજન કર્યું હતું. રેલીએ 100 માઇલનું અંતર કાપ્યું હતું.
કેનેડાના ઓન્ટોરિયોના ઓકવિલે અને બ્રેમ્પટન ખાતે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામમંદિર દિવસની ઉજવણી થઇ. મેયર પેટ્રિક બ્રાઉન અને રોબ બર્ટને પણ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. બંને મેયરે કહ્યું કે આ ઐતિહાસિક પ્રસંગ છે.
ત્રિનિદાદ અને ટોબેગોમાં રામજન્મભૂમિ સ્થાપના સમિતિના સભ્યોએ વિદેશી મિત્રો સાથે મળીને અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ રામ મંદિર અને ઇન્ડિયન ડિસોપોરાએ આ પ્રસંગની ઉજવણી કરી હતી.
મોરિશિયસમાં 2 કલાકની રજા
મોરિશિયસમાં ભારતીય સમુદાયે મંદિરોમાં દીવા પ્રગટાવ્યા હતા. હિંદુ જાહેર સેવક માટે સરકારે બે કલાકની રજાની જાહેરાત કરી હતી. યૂનાઇટેડ કિંગ્ડમ ખાતે પણ મંદિરોમાં ઉત્સવનો માહોલ હતો. બ્રિટનમાં 250 હિંદુ મંદિરો છે. કાર રેલી યોજીને લોકોએ ભગવાન રામના સૂત્રો પણ પોકાર્યા હતા. 48 ટકા વસતી ધરાવતા મોરિશિયસમાં તમામ મંદિરોમાં પૂજાપાઠ થયા હતા. સનાતન ધર્મમંદિર સંગઠન તરફથી આયોજિત વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન પ્રવીંદકુમાર જગનૌથે મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. 100 સ્થાને પ્રાણપ્રતિષ્ઠા સમારંભનું સીધું પ્રસારણ થયું હતું.
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કાર રેલી નીકળી , રામલલા પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે ઓસ્ટ્રેલિયામાં પણ જશ્નનો માહોલ હતો. સેંકડો મંદિરોમાં કાર્યક્રમોનું આયોજન થયું હતું. સિડનીની કાર રેલીમાં 100 કાર્સે ભાગ લીધો હતો. નેપાળના જનકપુરમાં પણ ઉત્સાહ હતો. દેવી સીતાના નાનેરામાં પણ કાર્યક્રમ યોજાયા હતા.
ન્યૂઝીલેન્ડના પ્રધાન મેલિસા લીએ વીડિયો સંદેશો જારી કર્યો
અયોધ્યાના રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારંભને મુદ્દે ન્યૂઝીલેન્ડના પ્રધાન મેલિસા લીએ વીડિયો સંદેશો જારી કર્યો હતો. તેમણે વીડિયો સંદેશો જારી કરીને વિશ્વભરના ભારતીયોને શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે રામમંદિરને પુનર્જીવિત કરવાના વડાપ્રધાન મોદીના દૃઢ સંકલ્પને કારણે સપનું સાકાર થયું છે. વડાપ્રધાન મોદી સતત ભારતના લોકોની ભલાઇમાં કામ કરતા રહ્યા છે.
ડેનમાર્કમાં દિવ્ય સભાનું આયોજન
ડેનમાર્કમાં હિંદુ સ્વયંસેવક સંઘે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. અહીં દિવ્ય સભાનું આયોજન થયું હતું. ડેનમાર્કના રાજદૂત પૂજા કપૂરે પણ રામના ગુણગાન કર્યા હતા. ઉત્સવ દરમિયાન અક્ષતનું વિતરણ થયું હતું.


