- તળાવ ફરતે CCTV, સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા કરવા પોલીસ દ્વારા પાલિકામાં રજૂઆત
- શહેરના મોચી બજાર, શ્રાવણ ટોકીઝ રોડ ઉપર પડતી મુશ્કેલી દૂર કરવા વેપારીઓની માગ
- બજારોમાં લારી પાથરણા વાળાના કારણે વર્ષોથી ટ્રાફીક સમસ્યા
સુરેન્દ્રનગર શહેરની મેઇન બજારોમાં લારી પાથરણા વાળાના કારણે વર્ષોથી ટ્રાફીક સમસ્યા હતી પરંતુ પોલીસ અને પાલિકાએ સંયુકત કામગીરી હાથ ધરી સંપુર્ણ ટ્રાફીક સમસ્યા મેઇન બજારમાં દૂર થઇ છે ત્યારે તળાવ ફરતે ઉભા રહેતા લારીવાળાની જગ્યાએ સીસીટીવી કેમેરા, લાઇટની વ્યવસ્થા માટે પોલીસે પાલિકા પાસે માંગ કરી છે સાથે મોચી બજારના વેપારીઓએ પણ સમસ્યા ઉકેલવા કલેકટર ઓફીસર રજૂઆત કરી છે.
સુરેન્દ્રનગર શહેરમાં મેઇન રોડ ઉપર વર્ષોથી લારી પાથરણા વાળાના દબાણના કારણે ટ્રાફીકની ગંભીર સમસ્યા સર્જાઇ હતી. ત્યારબાદ કંટાળીને વેપારીઓએ અલ્ટીમેટમ આપ્યા બાદ નગરપાલિકા અને પોલીસે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. એસપી ગિરીશ પંડયા, પીઆઇ જે.જે.જાડેજા સહિતની પોલીસની ટીમે સતત ખડેપગે રહીને તળાવ ફરતે, મોચી બજાર અને શ્રાવણ ટોકીઝ રોડ ઉપર ખસેડાયેલા લારી પાથરણાવાળાને રોડ ઉપર આવવા દીધા નથી અને હાલ પણ સતત પોલીસ પેટ્રોલિંગ જારી રાખ્યુ છે. જેના કારણે રોડ ખુલ્લા ટ્રાફીક અને દબાણ વગરના થતા મેઇન રોડના વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. કાયમી પાથરણા, લારી વાળાને પણ મુશ્કેલી ના પડે એ માટે તળાવ ફરતે બેસતા લારી પાથરણા વાળાની જગ્યાએ સીસીટીવી, સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા માટે પોલીસે પાલિકા પાસે માંગ કરી છે. બીજી તરફ મોચી બજાર અને શ્રાવણ ટોકીઝ રોડ ઉપર મેઇન રોડ ઉપરથી અમુક લારી પાથરણા વાળા ધંધો કરતા થયા છે. જેના કારણે ગંદકીની સમસ્યા, નોનવેજની ગેરકાયદે લારીઓના કારણે દુકાનદારોને હલનચલનમાં મુશ્કેલી પડતી હોવાથી આ બંને રોડ ઉપર ટ્રાફીકની સમસ્યા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોવાથી મહીલાઓને મુશ્કેલી પડતી હોવાથી આ બંને રોડની સમસ્યા ઉકેલવા માટે સુરેન્દ્રનગર હિતરક્ષક સમિતિ, મોચી બજાર એસોસિયેશન દ્વારા કલેકટર ઓફીસર અને સુરેન્દ્રનગર નગરપાલિકામાં પણ લેખિતમાં રજૂઆત કરી છે.
ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે પેટ્રોલિંગ જારી
એ.ડિવીઝન પી.આઇ.જે.જે.જાડેજાએ જણાવેલકે મેઇન રોડ ઉપર દબાણ ન થાય અને ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલાય એ માટે સતત પેટ્રોલિંગ ચાલુ છે જ્યારે તળાવ ફરતે કાયદો વ્યવસ્થા જળવાય અને લારી વાળાને મુશ્કેલી ના પડે એ માટે સ્ટ્રીટલાઇટ,સી.સી.કેમેરાની વ્યવસ્થા માટે નગરપાલિકા પાસે લગાવવા માંગ કરી છે.
જાહેરનામું બહાર પાડી કાયમી અમલ કરવો જરૂરી
સુરેન્દ્રનગર શહેરના વેપારી એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઇ સંઘવીએ જણાવેલ કે જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડયાના માર્ગદર્શન તળે શહેર પોલીસના સ્ટાફની ટીમ અને પાલિકા પ્રમુખ જીગ્નાબેનની ટીમથી શહેરમાં મેઇન રોડ ઉપર દબાણ દૂર થતા ટ્રાફીકની સમસ્યા ઉકેલાઇ છે. પરંતુ મીટીંગમાં ખાતરી આપ્યા મુજબનું કલેકટર દ્વારા ટ્રાફિક બાબતનું જાહેરનામુ પડાય. જેથી કાયમી અમલ થાય એવી વેપારી એસો.ની માંગ છે.


