- માર્ચ પછી તુવેરનું વેચાણ કરવાની સલાહ આપતી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
- એગ્રિકલ્ચર ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટે આ વર્ષે માર્ચ પછી તુવેરનું વેચાણ કરવાની સલાહ આપી
- જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU)એ તુવેરના ખેડૂતો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે
વર્તમાન બજાર સ્થિત અને ઉત્પાદનને ધ્યાનમાં રાખીને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU)એ તુવેરના ખેડૂતો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. યુનિવર્સિટીના એગ્રિકલ્ચર ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટે આ વર્ષે માર્ચ પછી તુવેરનું વેચાણ કરવાની સલાહ આપી છે. બજારના ઈકોનોમેટ્રિક વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન લણણીના સમયે તુવેરના ભાવ મણદીઠ રૂ. 1800-2000ની રેન્જમાં રહી શકે છે. JAUએ કાપણીની મોસમમાં તુવેર મણદીઠ રૂ. 2,100થી ઉપર જાય તો વેચવાનું સુચન કર્યું છે. એગ્રિકલ્ચર ઇકોનોમિક્સ ડીપાર્ટમેન્ટના રિસર્ચ સાયન્ટિસ્ટ એમ. જી. ધાંધલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની વિવિધ બજારોમાં ફેબ્રુઆરી 2023 દરમિયાન 20 કિલોનો ભાવ રૂ. 1420 આસપાસ હતો જે મેમાં વધીને રૂ. 1640 અને ઓક્ટોબરમાં રૂ. 2,000 જેટલો થયો હતો. ત્યારબાદ સિઝન શરુ થતા ભાવમાં ઘટાડો થયો હતો જે અત્યારે મણદીઠ રૂ. 1,800 આસપાસ ચાલી રહ્યો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ તુવેરનું ઉત્પાદન ઓછુ થવાનો અંદાજ હોવાથી વધઘટ સાથે આ સપાટીએ મજબુત રહેવાની સંભાવના છે.


