- વાનર અન શ્વાનનો આતંકઃ બંન્ને લોહીલુહાણ થતાં સારવાર લેવા પડી
- બાળકીને શ્વાને હાથે બચકાં ભરતા 15 ટાંકા
- મહિલાને વાનરે પગે બચકાં ભરતાં 35 ટાંકા લેવા પડયા
મેઘરજમાં રખડતાં ઢોરોનો ત્રાસ દિવસે અને દિવસે વધી રહ્યો છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી તાલુકામાં વાનરો અને શ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે અને તેને લઈ મનુષ્ય પર હુમલાના કિસ્સાઓ વધવા પામ્યા છે. આવો જ એક કિસ્સો મેઘરજ તાલુકામાં એક વાનરે એક મહિલાને તથા એક શ્વાને બાળકીને બચકાં ભરતાં બંન્ને લોહીલુહાણ હાલતમાં થયા હતા. ગત રોજ સવારે 10 વાગ્યાના અરસામાં મેઘરજના જૂના બજાર પાસે આવેલ જુમ્મા મસ્જીદ પાસે મદ્રેસામાંથી પરત ઘરે જઈ રહેલી 9 વર્ષની બાળકી પર એક શ્વાને હાથે હુમલો કરતાં બાળકી લોહીલુહાણ બની હતી. જો કે, આસપાસથી લોકો દોડી આવતાં શ્વાન ભાગી ગયું હતું. લોકો તાત્કાલીક બાળકીને દવાખાને લઈ જઈ સારવાર અપાવી હતી. આ કિસ્સામાં બાળકીને હાથે 15 ટાંકા આવ્યા હતા. તેમજ બાળકને શ્વાને જ્યાં બચકું ભર્યું હતું તે જગ્યા પર માંસ નીકળી આવ્યું હતું. જ્યારે અન્ય એક ઘટનામાં મેઘરજની જુમ્મા મસ્જીદના પાછળના ભાગે આવેલ ઘાંચીવાડા વિસ્તારમાં બનાવ પામી હતી. આ વિસ્તારમાં રહેતાં નૂરજહાંબેન બાકરોલીયા પોતાના ઘરની બહાર ગત રોજ સવારે બેઠાં હતા. દરમિયાન અચાનક એક વાનર આવી નૂરજહાંબેનના પગના ભાગે બચકાં ભરી જતું રહ્યું હતું. જો કે,અચાનક વાનર આવી ભચકાં ભરી જતાં નૂરજહાંબેન ગભરાઈ ગયા હતા અને બૂમો પાડતાં લોકો ભેગા થઈ ગયા હતા. નૂરજહાંબેનને તાકીદે દવાખાને લઈ જવાતાં તેમના પગલાં ભાગે 35 ટાંકા લેવા પડયા હતા. આમ મેઘરજમાં વાનર અને શ્વાનના હુમલાથી રહીશોમાં ડરનો માહોલ ઊભો થવા પામ્યો હતો.


