શરદ પવારને ન માત્ર રાજકિય ફટકો પડશે પરંતુ મોટો આર્થકિ સામ્રાજય પણ છિનવાઇ જશે
પૈસા થકી સતા અને સતા થકી પૈસા. ભારતના રાજકારણનું આ એક ચક્ર છે. જેને તમે વિષચક્ર,દુષચક્ર કે ચકકર કહી શકો. ભારતિય રાજનીતિને સમજવા માટે અર્થનીતિ પણ સાથે સાથે સમજવી પડે. જે રાજકિય પક્ષો અને નેતાઓ આર્થિક રીતે મજબુત થયા છે તે રાજકિય રીતે મજબુત થયા છે. જે રાજકિય નેતાઓ કે પક્ષો રાજકિય રીતે મજબુત થયા છે તે આર્થિક રીતે મજબુત થયા. છે. પરંતુ સતાનો સૂરજ કહેવાય છે કે, દરરોજ મધ્યાહ્ને નથી રહેતો. કાળક્રમે તેને અસ્ત થવાનુ જ હોય છે. આપણે શરદ પવાર નામના સતાના એક સૂરજની વાત કરવી છે. જેનો રાજકિય સૂર્યાસ્ત થઇ ચુકયો છે. ગઇ કાલે શરદ પવારને તેમની રાજકિય કારકિર્દીમાં કદી ન પડયો હોય તેટલો મોટો ફટકો પડી ગયો છે. ભારતિય ચૂંટણી પંચ એટલે કે ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાએ અજીત પવાર જૂથને એનસીપીનું નામ(નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી) અને ચૂંટણી ચિહ્ન વાપરવાનો નિર્ણય જણાવી દીધો છે. એટલે કે શરદ દાદા પાટીલે ઉભી કરેલી એનસીપી જ હવે તેની નથી રહી.
શરદ પવારના હાથમાંથી એનસીપી અને તેનુ ચિહ્ન ચાલ્યુ જવાથી શરદ પવાર તો રાત નિરાધાર થઇ ગયા છે. કોઇ ચૂંટણી હારવાથી ન થાય એટલું નુકસાન શરદ પવારને થયુ છે. કારણ કે અજીત પવાર જૂથના હાથમાં હવે એનસીપીની કમાન આવી જતાં એનસીપીના કાર્યાલયો, સ્થાવર જંગમ મિલકત જેની કિંમત હજારો કરોડ રૂપિયા થાય છે તેનો વહિવટ પણ આવી જવાની સંભાવના છે. મતલબ મુંબઇ દિલ્હી સહિતના શહેરોમાં હજારો કરોડની મિલ્કત જે એનસીપીના નામે હશે તે વિવાદમાં અવી જશે. સંભવત: શરદ પવારે આ મિલ્કતો સીધી એનસીપીના નામે ન રાખી હોય. કોઇ ટ્રસ્ટ કે સહકારી સંસ્થાના નામે રાખી હોય. પરંતુ મુંબઇ જેવા શહેરમાં જે મિલ્કતો એનસીપીની સ્થાપના બાદ ખરીદવામાં આવી હોય અને તે એનસીપીનું રજીસ્ટર્ડ એડ્રેસ હોય એવી મિલ્કતોની છેલ્લા વીસ વર્ષમાં કિંમતો એટલી વધી હોય કે તેની કલ્પના ન થઇ શકે. આ ઉપરાત એનસીપીના બેન્ક એકાઉન્ટ, ચૂંટણી ફંડ વગેરેની ઘણી મોટી બાબતો હશે. આ લડત કદાચ જાહેરમા નહિ લડાય. પરંતુ રાજકિય લડત પાછળ આર્થિક લડત રહેશે.
અજીત પવાર સામે ૭૦ હજાર કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ હતાં.પરંતુ ભાજપ સાથે અજીત પવારે સારા સબંધ કરી દીધા એટલે હવે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં શિવસેના અને શરદ પવાર જૂથનો સૂર્યાસ્ત કરવાની તમામ શતરંજ ગોઠવાઇ ગઇ છે. મહારાષ્ટ્રના રાજકારણના ખેલંદાઓ આ બાબત માટ ઉંડી સમજ ધરાવતાં હશે. ગઇ કાલ સુધી જેઓ શરદ પવારને પગે લાગીને સવાર પાડતાં હશે તેમને હવે અજીત ભાઉના દરબારમાં પગે પડતાં જોઇ શકાશે. એકંદરે પી.એમ. મોદી અમિત શાહે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી પહેલાં ન માત્ર શિવસેના અને ઉધ્ધવ ઠાકરેનો રસ્તો કરી નાંખ્યો છે. પરંતુ શિવસેનાની સ્ટાઇલથી જ એનસીપીમાંથી શરદ પવારનો કાંટો કાઢી અજીત પવારને ભાજપ તરફે લઇ મેદાન સાફ કરી નાંખ્યુ છે.
ચૂંટણી પંચે શિવસેનાના વિવાદ સમયે શીંદે જૂથની તરફેણમાં જે નિર્ણય આપ્યો તેનો ફોટોકોપી નિર્ણય એનસીપી વિવાદમાં આપ્યો છે. વિવાદ ચાલતો રહેશે પરંતુ શરદ પવાર ઉપર આ મરણતોલ ફટકો હશે. રાજકિય ખેલંદા કહેવાતાં શરદ પવાર હવે આ વયે ફરી એક વખત રાજકિય ક્ષિતિજે ઉભરી શકશે? કે તેમની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે એ સમય જ કહેશે.