- વિજિલન્સ તપાસ સોંપાઈ : નરેન્દ્ર ગમારા 11 પૈકી એકેય પુરાવા રજૂ ન કરી શક્યા
- નરેન્દ્ર ગમારાનું પેઢીનામું, રાણાવાવ મામલતદારને કરેલ અરજી સાથેનું પેઢી નામું અલગ
- AMC કમિશનર એમ. થેન્નારસની સૂચનાથી નરેન્દ્ર ગમારાને નોકરીમાંથી બરતરફ કરવાની નોટીસ
AMCમાં ખોટા સર્ટીફીકેટ રજૂ કરીને નોકરી મેળવનાર ખોખરા અને ઈન્દ્રપુરી વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્ર ગમારાને નોકરીમાંથી કેમ કાઢી ન મૂકવા ? તે અંગે ખુલાસા કરવા શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. AMCમાં ભરતી પ્રક્રિયા દરમિયાન ખોટા સર્ટીફીકેટ રજૂ કરીને નોકરી મેળવનાર નરેન્દ્ર ગમારા સામે વિજિલન્સ તપાસ હાથ ધરાઈ હતી અને AMC કમિશનર એમ. થેન્નારસની સૂચનાથી નરેન્દ્ર ગમારાને નોકરીમાંથી બરતરફ કરવા માટેની નોટિસ આપવાને પગલે મ્યુનિ. વર્તુળોમાં ચકચાર મચી જવા પામી છે. નરેન્દ્ર ગમારાએ રજૂ કરેલ પેઢીનામું અને રાણાવાવ મામલતદારને અરજી સાથેનું પેઢીનામું અલગ હોવાનું અને તે એકપણ પૂરાવા રજૂ કરી શક્યા ન હોવાનું જાણવા મળે છે. આવા કિસ્સાઓમાં જે તે કર્મચારી અને અધિકારી સામે છેતરપિંડી સહિતની ફરીયાદ કરવી જોઇએ અને તેની પાસેથી નિમણૂંક તારીખથી પગાર-ભથ્થા સહિતનાં લાભોની વસુલાત કરવી જોઈએ, તેવું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
તત્કાલીન કમિશનર દ્વારા વોર્ડ લેવલે નાગિકોની ફરિયાદોનો નિકાલ કરવા અને અને સુવિધાનાં કામો સરળતાથી થાય તે હેતુસર આસી. કમિશનરોની ભરતી કરી હતી. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર ભરતભાઇ ગમારાએ અરજી કરતાં તેની આસિ. મ્યુનિ. કમિશનર તરીકે નિમણૂંક કરાઈ હતી. ભરત ગમારાની નિમણૂંક પછી બૃહદ અમદાવાદ આદિવાસી ભીલ શિક્ષિત યુવક મિત્ર મંડળ નામની સંસ્થાએ જુલાઇ, 2020માં મ્યુનિ. કમિશનર તેમજ ગાંધીનગર આદિજાતિ કમિશનર, આદિજાતિ વિકાસ વિભાગ વગેરે જગ્યાએ અરજી કરી હતી અને નરેન્દ્ર ગમારા અનુસૂચિત જનજાતિનાં ન હોવા છતાં ખોટા સર્ટિફ્કિેટનાં આધારે નોકરી મેળવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સંસ્થાએ નરેન્દ્ર ગમારાનાં જાતિનાં સર્ટિફ્કિેટની ખરાઇ કરી તેને નોકરી ઉપરથી દૂર કરીને ખાલી પડતી જગ્યાએ અસલ એસ.ટી.ઉમેદવારની ભરતી કરવા માંગણી સાથેની અરજીને પગલે AMC વિજિલન્સ ખાતાને તપાસ સોંપાઈ હતી. વિજીલન્સ ખાતાની તપાસમાં નરેન્દ્ર ગમારાએ રાણાવાવ મામલતદારને અરજી સાથે કરેલુ પેઢીનામુ તથા વિજિલન્સ ખાતામાં રજૂ કરેલુ પેઢીનામુ અલગ હોવાનુ અને તેમાં ચેડાં કરાયા હોવાનું જણાયું હતું. વિજિલન્સ ખાતાએ નરેન્દ્ર ગમારાને આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં અનુસૂચિત જનજાતિનાં પ્રમાણપત્રની ખરાઇ માટે 11 પૂરાવા રજૂ કરવા સૂચના આપી હતી. પરંતુ તે પુરાવા રજૂ કરી શક્યા નહોતા. નરેન્દ્ર ગમારાએ રાણાવાવ મામલતદારનુ અનુસૂચિત જાતિનું સર્ટિફ્કિેટ હોવા છતાં રાજકોટ મ્યુનિ.માં જુનિયર કલાર્ક તરીકે બિનઅનામત કેટેગરીમાં અરજી કરીને નોકરી મેળવી હતી. AMCની તપાસમા અનેક પ્રકારનાં પુરાવા સાંપડયા બાદ મ્યુનિ. કમિશનરનાં આદેશને પગલે નરેન્દ્ર ગમારાને નોકરીમાંથી ઘર ભેગા કરવા કેમ ના કરવા તે અંગે શો કોઝ નોટિસ ફ્ટકારવામાં આવી છે.


