- પવન ફુંકાશે તો ઘઉંનો પાક જમીન દોસ્ત થઈ જવાની દહેશત
- ઘઉંના પાકમાં કાળીયા નામના રોગનો ઉપદ્રવ શરૂ થઈ ગયો છે
- પાક માટે હાલના તબક્કે વાદળછાયુ વાતાવરણ રોગને નોતરૂ છે
સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, મંગળવારે વાતાવરણમાં એકા-એક પલટો આવતાં ઠંડીનો અહેસાસ થયો હતો તો બીજી તરફ આકાશમાં ગોરંભાયેલા વાદળોને કારણે ખેડૂતો ઉચાટનો અહેસાસ કરવા માંડયા છે. ખેડૂત વર્ગનું માનવુ છે કે, વાદળછાયા વાતાવરણને લઈને ખાસ કરીને વરીયાળી અને તૈયાર થવાની આડે આવેલા ઘઉંના પાકમાં કાળીયા નામના રોગનો ઉપદ્રવ શરૂ થઈ ગયો છે.
સાબરકાંઠા જિલ્લામાં મંગળવારથી વાતાવરણમાં આવેલા પલટાને લઈને વહેલી સવારે ધુમ્મસ પડવાની શરૂઆત થઈ ગઈ હતી તો બીજી તરફ સતત વાદળો આવતા લોકોએ ઠંડી અને પવનનો અહેસાસ કર્યો છે. સાથો સાથ વરીયાળી અને ઘઉંના પાક માટે હાલના તબક્કે વાદળછાયુ વાતાવરણ રોગને નોતરૂ આપે છે, જેના લીધે વરીયાળી અને ખાસ કરીને ઘઉંના પાકમાં કાળીયાનો રોગ આવી ગયો છે.
એટલુ જ નહીં પણ પાકીને તૈયાર થવાની અણીએ આવીને ઊભેલા ઘઉંના પાકમાં કેટલાક છોડ સુકાઈ રહ્યા છે જેના લીધે ઉત્પાદન પર તેની સીધી અસરો દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે. સાથો- સાથ ઉનાળુ મગફળીના પાકમાં પણ જીવાત સતત છોડ પર ચોટેલી રહેતી હોવાને કારણે તેનો વિકાસ પણ ધીમો થઈ ગયો છે. આવી જ હાલત રાયડાના પાકની પણ થઈ રહી છે.
દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સાબરકાંઠા અને અરવલ્લીમાં ઠંડીનું પ્રમાણ વધવાની તથા પવન ફૂકાવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે ત્યારે ખેડૂત વર્ગ એવુ માને છે કે, જો પવન ફૂંકાશે તો પાકીને તૈયાર થઈ ગયેલો ઘઉંનો પાક જમીન દોસ્ત થઈ જશે. જેના લીધે ખેડૂતોનું સ્વપ્ન પણ રોળાઈ જવાની શકયતા નકારી શકાતી નથી. એટલુ જ નહીં પણ દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થવા માંડયો છે ત્યારે જિલ્લામાં અનેક લોકો વાયરલ બિમારીમાં સપડાઈ રહયા છે, જેથી સ્થાનિક તબીબ પાસે સમયસર સારવાર મળતી હોવાને કારણે આ બીમારી લાંબો સમય રહેતી નથી.


