- ભાજપે નાના મંદિરોની મદદ માટે વધુ આવકવાળા મંદિરો પાસેથી નાણાં લેવાનો કાયદો ઘડયો હતો
- પાંચ લાખથી 10 લાખ વચ્ચેની આવક ધરાવતાં મંદિરોએ ચોખ્ખી આવકના પાંચ ટકા આપવા પડશે
- 10 લાખ અને તેનાથી ઓછી આવક ધરાવતાં મંદિરોને છૂટ આપવાનો પ્રસ્તાવ છે : કર્ણાટક સરકાર
કર્ણાટકનું મંદિરો સાથે સંકળાયેલું એક બિલ આજકાલ ચર્ચાની એરણે છે. હકીકતમાં, 23 ફેબ્રુઆરી, શુક્રવારે રાજ્ય સરકારે વિધાનસભામાં હિંદુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ વ્યવસ્થાપન (સંશોધન) બિલ રજૂ કર્યું છે. વિપક્ષી દળો ભાજપ અને જેડીએસના વિરોધના લીધે આ બિલ ગૃહમાં પાસ ન થઈ શક્યું. જોકે, બિલ રજૂ કરાયા પહેલાંથી જ વિપક્ષ આ બિલનો વિરોધ કરતો રહ્યો છે. ભાજપ અને જેડીએસનો આરોપ છે કે સરકાર મંદિરો પર ટેક્સ નાખીને પોતાના ખાલી ખજાનાને ભરવા માગે છે. બીજી તરફ, કોંગ્રેસ સરકારનો દાવો છે કે 2011માં ભાજપ સરકાર પણ આવું જ બિલ લઈને આવી હતી. બંને પક્ષોની દલીલો જોતાં હવે સવાલ એ ઊભો થાય છે કે આખરે, હિંદુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ વ્યવસ્થાપન (સંશોધન) બિલ શું છે? તેની જોગવાઈઓ શી છે? વિપક્ષ બિલનો વિરોધ કેમ કરે છે? અને, કોંગ્રેસ સરકારનું વલણ શું છે?
કર્ણાટક વિધાન પરિષદમાં શુક્રવારે કર્ણાટક હિંદુ સંસ્થાન અને ધર્માર્થ વ્યવસ્થાપન (સંશોધન) બિલ, 2024 રજૂ કરવામાં આવ્યું હતું. વિધાન પરિષદમાં વિપક્ષ પાસે બહુમત છે. વિપક્ષના વિરોધના લીધે ગૃહમાં આ બિલ પાસ ન થઈ શક્યું. હકીકતમાં, કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ વ્યવસ્થાપન અધિનિયમ, 1997 છે, જેમાં સુધારણા (સંશોધન) માટે આ બિલ લવાયું છે. બિલ દ્વારા અધિનિયમની કલમ 17માં સુધારો કરવાનો છે. આ કાયદાની કલમ 17માં ફંડ માટે એક સામાન્ય પૂલ બનાવવાની જોગવાઈ છે. કર્ણાટક સરકાર અનુસાર, 2011માં તત્કાલીન ભાજપ સરકારે કાયદામાં સુધારો કર્યો હતો. આ ફેરફાર દ્વારા સામાન્ય પૂલ ફંડનો ઉપયોગ કરીને ઓછી આવક ધરાવતાં મંદિરોની મદદ કરવા માટે વધારે આવક ધરાવતાં મંદિરો પાસેથી ધન એકઠું કરવા માટે કાયદો સક્ષમ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઓછી આવક ધરાવતાં મંદિરોને સી શ્રેણી, જ્યારે વધારે આવક ધરાવતાં મંદિરોને એ શ્રેણીમાં મૂકવામાં આવ્યાં છે. સરકાર અનુસાર, 2011ના સુધારા દ્વારા પાંચ લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા વચ્ચેની વાર્ષિક આવક ધરાવતાં મંદિરોએ પોતાની ચોખ્ખી આવકના પાંચ ટકા આપવાના થાય છે. જ્યારે એવાં મંદિરો, જેની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા કરતાં વધારે છે તો તેણે 10 ટકા આપવાના થાય છે.
નવા સુધારાથી શું બદલાશે?
કર્ણાટક સરકારનું કહેવું છે કે તેણે 10 લાખ રૂપિયા અને તેનાથી ઓછી વાર્ષિક આવક ધરાવતાં મંદિરોને છૂટ આપવાનો પ્રસ્તાવ કર્યો છે. તેમણે સામાન્ય પૂલ ફંડમાં યોગદાન આપવાની જરૂર નહીં રહે. સુધારામાં પ્રસ્તાવ છે કે 10 લાખ કરતાં વધારે અને એક કરોડ રૂપિયાથી ઓછી વાર્ષિક આવક ધરાવતાં મંદિરોએ પાંચ ટકા અને એક કરોડ રૂપિયા કરતાં વધારેની આવક ધરાવતાં મંદિરોએ પોતાની વાર્ષિક આવકના 10 ટકા આપવા પડશે. બિલમાં મંદિરોની કમાણીથી પ્રાપ્ત ફંડને એક કોમન પૂલ ફંડમાં રાખવાની જોગવાઈ છે, જેનું વ્યવસ્થાપન રાજ્ય ધાર્મિક પરિષદ કરશે. બિલમાં કહેવાયું છે કે આ ફંડનો રાજ્યનાં સી કેટેગરીનાં એવાં મંદિરોના પૂજારીઓના કલ્યાણ માટે ઉપયોગ કરાશે જેમની વાર્ષિક કમાણી પાંચ લાખ કરતાં ઓછી છે.
વિપક્ષ બિલનો વિરોધ કેમ કરે છે?
ભાજપ અને જેડીએસ શરૂઆતથી આ બિલનો વિરોધ કરી રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર મંદિરો પર ટેક્સ લગાડીને પોતાની ખાલી તિજોરી ભરવા માગે છે. તેમના અનુસાર, સરકારે ઓછી આવક ધરાવતાં મંદિરોના પૂજારીઓના કલ્યાણ માટે બજેટમાં અલગથી ફંડની જોગવાઈ કરવી જોઈએ. કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ વ્યવસ્થાપન બિલની બાબતમાં ભાજપે કોંગ્રેસ સરકાર પર તીવ્ર હુમલો કર્યો છે. પાર્ટીએ કોંગ્રેસ સરકારને હિંદુ વિરોધી ગણાવી છે. કર્ણાટક ભાજપના અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ આરોપ કર્યો કે, કોંગ્રેસ સરકાર રાજ્યમાં સતત હિંદુ વિરોધી નીતિઓ અપનાવી રહી છે અને હવે તેમની નજર હિંદુ મંદિરો પર છે. સરકારે આ બિલ માત્ર પોતાના ખાલી ખજાનાને ભરવા માટે પાસ કર્યું છે. તેમણે કહ્યું કે, આ સરકાર મંદિરોની એક કરોડ રૂપિયા કરતાં વધારેની કમાણી પર 10 ટકા ટેક્સ લગાડશે, આ બીજું કશું નહીં ગરીબી છે.
કોંગ્રેસ સરકારનું વલણ શું છે?
વિપક્ષના આરોપો બાબતે કોંગ્રેસ સરકારના મંત્રી રામાલિંગા રેડ્ડીએ જવાબ આપ્યો કે, ભાજપ ધર્મની બાબતમાં રાજકારણ કરે છે, જ્યારે કોંગ્રેસ ધર્મની સૌથી મોટી હિતકારી છે. કોંગ્રેસે કહ્યું કે તેમની સરકારે સતત હિંદુ મંદિરો અને હિંદુ હિતોને સુરક્ષિત કર્યાં છે. ફેરફાર બાબતે કર્ણાટક સરકારે કહ્યું કે હાલ કોમન પૂલ ફંડને વાર્ષિક માત્ર આઠ કરોડ રૂપિયા મળી રહ્યા છે. આ રકમ બિલકુલ પર્યાપ્ત નથી. જ્યારે સી સમૂહનાં મંદિરોના પૂજારીઓ અને કર્મચારીઓની માગોને પૂરી કરવાની સખત જરૂર છે. તે માટે સામાન્ય પૂલમાં ધનની ઉપલબ્ધતા વધારવાની આવશ્યકતા છે. આ જ કારણ છે કે સરકારે કાયદામાં સુધારો કરવાનો નિર્ણય લેવો પડયો. મંત્રી રામાલિંગા રેડ્ડીએ એમ પણ કહ્યું કે બિલને સોમવારે ફરીથી વિધાનસભામાં રજી કરવામાં આવશે.


