જંગલેશ્વરના ડિમોલેશનનો ખર્ચ કેટલો થયો? સવાલો પૂછતો કોંગ્રેસનો ખુલ્લો પત્ર
જવાબ આપવામાં નહી આવે તો જનરલ બોર્ડમાં પ્રશ્નો પૂછાશે : હેમાંગ વસાવડા
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ રાજકોટ મહાનગર પાલિકા કમિશનરને પત્ર લખી પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો આ પ્રશ્નોના જવાબ આપવામાં નહિ આવે તો કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા જનરલ બોર્ડમાં ઓન રેકર્ડ પ્રશ્નો પૂછવામાં આવશે. આ પત્રમાં તેમને જણાવ્યું હતું કે, છેલ્લા થોડા દિવસોથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરદાતા દ્વારા ભરવામાં આવતી રકમની “લૂંટ” થતી હોવાની વિગતો સતત માઘ્યમોમાં આવી રહી છે. ત્યારે સામાજીક અને રાજકીય અગ્રણી તરીકે અમારા આપને સીધા પ્રશ્નો છે તેનો જવાબ આપે આપવો જરૂરી છે.
કોંગ્રેસે લખેલા પત્રમાં પ્રશ્નો કર્યા છે કે (1) જંગલેશ્વર ડીમોલીશનના છૂટક બીલોની વાત અલગ અલગ માઘ્યમોમાં આવ્યા કરે છે. જેમાં વીડિયોગ્રાફી, પાણીની બોટલ, ખાણીપીણી ચા નાસ્તો વગેરે જુદા જુદા બિલ મુકવામાં આવ્યા છે પરંતુ રાજકોટના આ સૌથી મોટા જંગલેશ્વર ડીમોલીશનનો કુલ ખર્ચો કેટલો થયો છે.? (2) કોરોના સમયે જંગલેશ્વર વિસ્તારમાં પતરા મારી આડશ કરવામાં આવી હતી આ કરવા પાછળનું કારણ ખબર નથી પરંતુ તેનો કુલ ખર્ચો કેટલો થયો.? (3) અમારી જાણકારી મુજબ 2018થી બીલ પેન્ડીંગ છે. આ બીલોને શાસકીય મંજુરી મળેલ નથી અને પેન્ડીંગ છે. આ વાત સાચી કે ખોટી ? જો સાચી હોય તો સેવા આપનાર, માલ આપનાર, વેન્ડરો આઠ વર્ષથી પૈસા ચુકવાયા વગર સેવાઓ આપે છે? અમારી સમજણ મુજબ આ શકય બને નહીં. તો તેના પૈસા ચુકવાણા કઈ રીતે થશે .? હવે હવાલા જ પાડવાના છે કે કેમ.? આ ઉપરાંત અધિકારીઓ કોર્પોરેશનમાંથી એબસ્ટેક’ રકમ ઉપાડે છે. પછી તે ‘સેટ ઓફ’ કરે છે. આ પધ્ધતિ ભ્રષ્ટાચાર, કટકી શકય બનાવે છે. આ પધ્ધતિ તરત બંધ કરવી અને ‘એબસ્ટેક’ વાળી વિગત જાહેર કરવામાં આવે. (4) વિધાનસભા વિસ્તાોરમાં સરકારના કાર્યક્રમોની જાહેરાતો, તેમના કાર્યક્રમો, મુખ્યમંત્રીની મુલકાતોનો ખર્ચો કઈ રીતે કરવામાં આવે છે અને કેટલો કરવામાં આવે છે.? આ વિગતો જાહેર કરવી.
અમારી માંગ છે કે આ પ્રશ્નોના જવાબ સાર્વજનિક કરવામાં આવે કારણ કે આ અમારો અને રાજકોટના કરદાતાઓનો હક છે. આ જાહેરાત નહીં કરો તો પ્રજા આપને પણ કાંડના ભાગીદાર ગણશે તેવી અમને ભીતિ છે. વિગતો સાથે ટુંક સમયમાં બીજો પત્ર પણ મોકલશું. અમારા પક્ષના ચુંટાયેલા પ્રતિનિધિઓ આવતી સામાન્ય સભામાં આ પ્રશ્નો રજુ કરશે તેની નોંધ લેવા વિનંતી તેમ અંતમાં જણાવ્યું છે.


