- હાલ સરકારી હોસ્પિટલમાં વાયરલ શરદી-તાવના 150 જેટલા દર્દીઓ સારવારમાં આવે છે
- વાયરલ રોગચાળો વધ્યો હોવાથી ડોક્ટરોએ કોરોનાની ગાઈડલાઈનને અનુસરવાની સલાહ આપી
- સ્વાઈનફલુના કેસમા વધારો થતા તંત્ર લાગ્યુ કામે
સૌરાષ્ટ્રની મોટામાં મોટી અને ઓક્સિજન લાઈન કનેક્ટેડ 700 બેડની સગવડતા ધરાવતી જામનગરની જી.જી. હોસ્પિટલ હવે રોગચાળા માટે કાયમી સુસજજ છે. હાલના દિવસોમાં હોસ્પિટલ તંત્રને કોરોના અંગે કોઈ ખાસ સુચના આરોગ્ય વિભાગ દ્વારા મળી નથી. પરંતુ જામનગરના મેડિસિન વિભાગમાં છેલ્લા બે માસમાં કોરોના જેવા જ ન્યુમોનિયા સાથેના ફેફસાને અસર કરતા સ્વાઈન ફલુ રોગના 10 કેસ નોંધાઈ ચૂક્યા છે અને તમામ દર્દીઓને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે.
ઓપીડીમાં દર્દીઓનો વધારો
માત્ર જી.જી. હોસ્પિટલની વાત કરીએ તો આ હોસ્પિટલમાં દૈનિક 2500થી વધુ દર્દીઓની ઓપીડીમાં દૈનિક લાંબી લાઈનો લાગે છે. જેમાં હોસ્પિટલના મેડિસિન વિભાગમાં હાલ દૈનિક 800 જેટલા દર્દીઓની ઓપીડી રહે છે. જેમાંથી વાયરલ શરદી-તાવના દૈનિક 125 થી 150 જેટલા દર્દીઓ સામે આવે છે. મેડિસિન વિભાગના ડોક્ટરો જણાવે છે કે, ખાસ કરીને વાયરલ શરદીના રોગચાળામાં લોકોએ ભીડ ભાડવાળી જગ્યાએ ન જાય, વારંવાર હાથ ધોવે, વડીલો ધરાવતા પરિવારોમાં શરદીના કુર્દીઓ આઈસોલેટ રહે, માસ્ક પહેરે, નાક સાફ કર્યા બાદ હાથ તેમજ નળ પણ ધોઈ નાંખે, પોતાના રૂમાલ, નેપકીન અલગ રાખે અને તે નિયમિત ધોવે ને જરુરી છે.
શહેરી વિસ્તારમાં વધારે રોગચાળો
હાલ શહેરી વિસ્તારમા શરદી-સુકી ઉધરસ અને ઝીણા તાવના લક્ષણો સાથેનો વાયરસ ફેલાવાને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલો, દવાખાનાઓની ઓપીડી દર્દીઓથી સતત ઉભરાવા લાગી છે. સિઝનલ ગણાતા આ રોગચાળામાં ડોક્ટરોએ ઘરગથ્થુ ઉપચારને બદલે સીધો ડોક્ટરોનો સંપર્ક સાધવા તેમજ કોવીડ વખતે માસ્ક સહિતના જે પ્રોટોકોલ (નિયમો) પાળવાના થતા હતા તે પાળવા સલાહ આપી છે.


