- પોલીસ-આરટીઓની મિલીભગતથી નિર્દોષ પ્રવાસીઓનો મરો
- સીટીએમથી હાઈવે રોજના 300થી વધુ શટલિયા વાહનો ગેરકાયદે દોડે છે
- શટલિયામાં કેપેસિટી કરતાં વધુ પેસેન્જરોને ભરી બેફામ વાહન હંકારે છે
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બનેલી 10 લોકોના મોતની ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં છે જેમાં અમદાવાદથી વડોદરા અને વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર બેરોકટોક શટલિયા વાહનો વગર ચેકિંગે દોડી રહ્યાં છે. અમદાવાદના સીટીએમ ચાર રસ્તા પાસે છેલ્લા કેટલાય વરસોથી પોલીસ અને આરટીઓની મિલીભગતથી ગેરકાયદે શટલિયાઓનો આખો ડેપો જ અસ્તિત્વમાં આવ્યો છે. જેનો ભોગ હજારો નિર્દોષ મુસાફરો બની રહ્યાં છે. અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઈવે નજીક આવેલા સીટીએમ ચાર રસ્તાથી કાર, જીપ, ઈકો વાનમાં ગેરકાયદે મુસાફરોને તંત્રની સામે જ બેસાડીને લઈ જવાય છ. જયારે આવા ગમખ્વાર અક્સ્માતના બનાવો સામે આવે છે ત્યારે તપાસના નામે નાટક કરાય છે. સામાન્ય રીતે અર્ટિકા જેવી કારમાં પ્રવાસીઓની કેપેસીટી 7 પ્રવાસીઓની હોય છે આમ છતાંય એક સાથે 10-10 લોકોને બેસાડવામાં આવે છે જેનો ભોગ આખરે નિર્દોષ લોકો જ બને છે.
મળતી માહિતી અનુસાર વહેલી સવારથી લઈને રાત સુધીમાં દરરોજની 300થી વધુ કાર,વાન ગેરકાયદે રીતે એક્સપ્રેસ હાઈવે પર દોડી રહ્યાં છે જેના લાખો રુપિયાના હપ્તા ઉઘરાવાઈ રહયાં છે. સૌથી નવાઈની વાત તો એ છે કે એક્સપ્રેસ હાઈવે પર કોઈ પણ જાતના શટલયિા વાહનોને દોડાવવાની મંજુરી હોતી નથી આમ છતાંય પોલીસ-આરટીઓની હપ્તાખાઉ નીતીની કારણે ધમધોકાર આ ધંધો ધમધમી રહ્યો છે. આટલુ જ નહિ શટલિયા વાહનો મુસાફરોને એક્સપ્રેસ હાઈવે પર અધવચ્ચે ઉતારતા પણ જાય છે અને પેસેન્જરોને ભરતા પણ જાય છે. ટોલટેક્સ શરુ થયા બાદ પણ મોટા હેવી વ્હીકલો હાઈવે પર બિન્દાસ્ત પણે પાર્કિંગ કરીને હાઈવેની બાજુમાં ગેરકાયદે ખાણીપીણીના સ્ટોલ પર અડ્ડો જમાવી રહ્યાં છે. આમ છતાંય નેશનલ હાઈવે એક્સપ્રેસ ઓથોરિટી આ બધો તમાશો જોઈ રહી છે.
સસ્તા ભાડાની લહાયમાં ‘મોતની મુસાફરી’
અમદાવાદથી વડોદરા હોય કે વડોદરાથી અમદાવાદ હોય. એસટી નિગમે પ્રવાસીઓ માટે અનેક બસોની સુવિધા ઉભી કરી છે આમ છતાંય પ્રવાસીઓ સસ્તા ભાડાની મુસાફરી અને ખાનગી કારમાં ઝડપી પહોંચી શકાય તેવી માનસિકતાના કારણે શટલિયા વાહનોનો સહારો લઈ રહ્યાં છે. આ જ વૃત્તિ લોકોના મોતનુ કારણ પણ બની રહી છે. એરટિગા જેવી પ્રાઈવેટ કારમાં એક્સપ્રેસ હાઈવે પર વડોદરાથી અમદાવાદ 100થી 150 રુપિયાનું ભાડુ વસુલાઈ રહ્યું છે. એ જ રીતે અમદાવાદથી વડોદરા સુધી આટલુ ભાડુ લઈ રહ્યાં છે. વડોદરા સાઈડની વાત કરીએ તો અમિત નગર સર્કલ, દુમાડ ચોકડી, સમા તળાવ સહિતના પબ્લિક પોઈન્ટ પરથી શટલિયા વાહનો અમદાવાદ સુધી પ્રવાસીઓને ભરે છે એ જ રીતે અમદાવાદથી સીટીએમ ચાર રસ્તાથી વડોદરાના અમિત નગર સર્કલ સુધી પ્રવાસીઓને લઈ જાય છે.


