- વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4 નું પેપર લીક થયાનો આક્ષેપ
- પેપરનો સમય 10.30 નો હતો અને 9:30એ સોશિયલ મિડીયામાં વાયરલ થયું
- સમગ્ર સૌરાષ્ટ્રમાં 35,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
લોકસભાની ચૂંટણી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર પેપર ફૂટવાની ઘટના બની હોવાનો આક્ષેપ વિધાર્થી નેતા યુવરાજસિંહે લગાવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4નું પેપર લીક થયો હોવાનો આક્ષેપ કર્યો છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ કોલેજોમાં આજે આ પેપર લેવામાં આવ્યું હતું. યુવરાજસિંહનો આરોપ છે કે પરીક્ષાનું પેપર 1 કલાક અગાઉથી સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.
પરીક્ષાના એક કલાક પહેલા પેપર થયુ લીક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCAના સેમિસ્ટર-4માં 19 તારીખે સવારે 10.30 વાગ્યે પેપર હતું, ઓપરેટિંગ સિસ્ટમ કોન્સેપ્ટ્સ વિથ યુનક્સ/લિનક્સ જે લિક થયું હતું. યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે,9.30 વાગ્યે જ પેપર સોશિયલ મીડિયામાં વાઈરલ થયું હતું. 18 તારીખે જે પરીક્ષા હતી વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટીમાઈઝ, 16 તારીખે જે પરીક્ષા હતી પ્રોગ્રામિંગ વિથ C+ આ ટાઈમ ટેબલ પ્રમાણે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ કોલેજેમાં પરીક્ષા લેવાનાર હતી. તેના પણ પેપર લીક થયા હતા. આ સાથે યુવરાજસિંહ પેપર લીક થયાના પુરાવા પણ રજૂ કર્યા હતા.
વિદ્યાર્થીઓના ગ્રુપમાં ફરતું થયું પેપર
યુવરાજસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું કે, વોટ્સએપમાં લખાણવાળા જે પ્રશ્નો ફરતા થયા છે, તેને અમે પેપરની સાથે મેચ કર્યા છે. લખાણમાં જે સ્પેલિંગ ભૂલો હતો તે જ પ્રિન્ટ થયેલા પેપરમાં પણ છે. હું એમ નથી કહેતો કે આજનું પેપર લીક થયું. ગત રોજનું જે પેપર હતું તે પણ 9.32 મિનિટે સોશિયલ મીડિયાના વિદ્યાર્થીઓના ગ્રુપમાં શેર કરાયું હતું. અમે આજે વિદ્યાર્થી સંગઠનોને મળ્યા હતા, તેમના દ્વારા જ આ માહિતી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓની આ માહિતીને અમે સંપૂર્ણ રીતે ક્રોસ વેરિફાઈ કરી છે.
સૌરાષ્ટ્ર યુનિના રજીસ્ટ્રાર રમેશ પરમારનું નિવેદન
અમારી સિસ્ટમ ફૂલ પ્રૂફ છે,પ્રોફેસરનું આઇડી અને બાયોમેટ્રિક કરી પેપર ખોલવામાં આવે છે,90 મિનિટ પહેલા પેપર ખોલવાની મંજૂરી આપવામાં આવે છે, કોણે અને ક્યારે પેપર ખોલ્યું એ અમારા રેકોર્ડ આવે છે,માહિતી આવશે તે મુજબ આ અંગે તપાસ કરવામાં આવશે,35000 છાત્રોની સંખ્યાનો દાવો ખોટો છે,મીડિયા દ્વારા જાણવા મળ્યું કે હાથ થી લખેલું પેપર છે,હકીકત સામે આવ્યા બાદ ફોજદારી કાર્યવાહી કરીશું,આ ઘટનામાં અનુમાન ન લગાવી શકીએ.
ટી એન રાવ કોલેજના સંચાલક નિદત બારોટનું નિવેદન
પેપરને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખાસ વ્યવસ્થા છે.જ્યારે અમે પેપર ડાઉનલોડ કરીએ છીએ ત્યારથી લઈને છાત્રો ને પેપર આપવા સુધી તેનું રેકોર્ડીંગ થાય છે આજ નાં પેપર લીક ની વાત ભલે હોય પણ અમારા દ્વારા તમામ આજ સુધીના તમામ પેપર નું રેકોર્ડીંગ છે.


