- હિટવેવથી બચવા વિદ્યાર્થીઓને વધારાનું શૈક્ષણિક કાર્ય ન કરવા DEOનુ સૂચન
- અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીઓ સંલગ્ન શાળાઓના આચાર્યોને પત્ર લખી સૂચના આપી
- આઉટડોર એક્ટિવિટી બંધ કરી સ્કૂલોએ ક્લાસ દરમિયાન બાળકોને પાણી પીવાની છૂટ આપવી
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ આચાર્યોને પત્ર લખી હીટવેવને લઈ તકેદારી રાખવા સૂચના અપાઈ છે.ત્યારે ગરમીના પગલે સ્કૂલોનો સમય સવારનો કરાયા બાદ ફરી આચાર્યોને શાળાનો સમય સુનિશ્ચિત કરવા માટે જણાવાયું છે. ઉપરાંત સ્કૂલોને નિયમિત શૈક્ષણિક કલાકો કરતા વધુ સમય શૈક્ષણિક કાર્ય ન કરાવવા માટે પણ તાકીદ કરાઈ છે.ઉનાળાની શરૂઆત સાથે જ બાળકો હીટવેવથી બચી શકે તે માટે સ્કૂલોના સમયમાં ફેરફાર કરાતો હોય છે. આ વખતે પણ સ્કૂલોનો સમય સવારનો કરવામાં આવ્યા બાદ પણ અમુક ખાનગી સ્કૂલો દ્વારા પાલન કરવામાં આવતું ન હોવાથી વિદ્યાર્થીઓને ગરમીમાં હેરાન થવાનો વારો આવતો હોવાનું ધ્યાને આવતા આ મુદ્દે પરિપત્ર કરી સૂચના આપવામાં આવી છે.
પત્રનું કરો પાલન
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, ઉનાળામાં એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો પારો ટોચ પર હોય છે. ગરમીનો પારો વધતા ડીહાઈડ્રેશન અને લૂ લાગવાની સંભાવના વધી જતી હોય છે. જેથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સલામતી માટે બપોર સમયના પીક હિટથી બચવા માટે શાળાનો સમય પુનઃ સુનિશ્ચિત કરવા માટે તાકીદ કરાઈ છે. ઉપરાંત નિયમિત શૈક્ષણિક સમય કરતા વધુ સમય શૈક્ષણિક કાર્ય ન કરાવવા માટે પણ સ્કૂલોને સૂચના આપવામાં આવી છે. હીટવેવથી બાળકોને રક્ષણ મળે તે માટે સ્કૂલોને અન્ય તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.
અગાઉ પણ કરાયો હતો પરિપત્ર
હીટવેવને લઈને અગાઉ પણ સ્કૂલોના સમયમાં ફેરફાર સહિતના મુદ્દે પત્ર કરાયો હતો. પરંતુ આ પત્ર બાદ પણ ઘણી ખાનગી સ્કૂલો દ્વારા તેનું પાલન કરાતું ન હતું. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલોને તેમનો સમય રિશિડ્યુઅલ કરવા તાકીદ કરાઈ છે. ઉપરાંત અમુક સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયા બાદ વધારાના કરિક્યુલમ એક્ટિવિટી માટે વિદ્યાર્થીઓને મોડી સુધી સ્કૂલમાં રોકી રાખવામાં આવતા હોવાની પણ વિગતો મળતા સ્કૂલોને વધારાનો સમય વિદ્યાર્થીઓને ન રોકવા માટે સૂચના આપી છે.


