- સૌના મેળાપીપણામાં લોકતંત્રના આત્માની જ હત્યા કરી દેવાઈ
- નિયમોની છટકબારીમાંથી થતા વેપારમાં લાભ લેનાર ભાજપ પણ કોંગ્રેસ જેટલો જ ગુનેગાર
- નોટાનો પણ અધિકાર નહીં, આઠ લાખ સૌરાષ્ટ્રીયનો ગામડા ખુંદશે
વિશ્વ વિખ્યાત સ્ટેટમેન અને વિશ્વમાં સૌથી જૂની લોકશાહી ધરાવતા યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના 16માં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને કહ્યુ છે કે “Democracy is for the people, by the people, of the people” અર્થાત ”લોકો માટે, લોકો મારફતે અને લોકો દ્વારા ચાલે તે જ લોકશાહી” ગુજરાતમાં લોકતંત્રની આ મૂળભૂત વિભાવનાને રાજ્યસભા, વિધાનસભા ચૂંટણી વખતે વેચાઉ કરવાનો ખતરનાક ખેલ લાંબા સમયથી ચાલી રહ્યો છે. હવે તેનો લૂણો લોકસભા ચૂંટણીને પણ લાગ્યો છે. જેના કારણે ઈતિહાસમાં પહેલીવાર સુરત લોકસભા મતક્ષેત્રના 20 લાખથી વધારે મતદારોનો લોકતાંત્રિક અધિકાર છીનવાયો છે.
સુરત લોકસભામાં ભાજપના ઉમેદવાર મૂકેશ દલાલ વગર ચૂંટણીએ જ બિનહરીફ વિજેતા જાહેર થતા શનિવારે ફોર્મ ચકાસણીથી શરૂ કરીને સોમવારે ઉમેદવારી પાછા ખેંચવા સુધી 48 કલાકના ઘટનાક્રમની એક પછી એક પરતો ઉઘાડી પડી રહી છે. જેમાં લોકતંત્રનો આત્મા એટલે ચૂંટણી વ મતાધિકારની હત્યામાં ભાજપ- કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો, અપક્ષો અને કેટલેક અંશે ચૂંટણી સંચાલકોનું પણ મેળાપીપણું હોવાનું ચિત્ર જનમાનસમાં ઉભર્યુ છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સેંકડો મતદારો પહેલા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ કરાવીને અને પાછળથી બસપા સહિત સાતેય ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવીને ભાજપે પોતાની પાસે રહેલો બંધારણિય મતાધિકાર પણ છીનવી લીધાનો રોષ ઠાલવી રહ્યા છે. રાજ્યસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં પહેલા કોંગ્રેસમાંથી ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા અને હવે ચૂંટણી નિયમોના નામે પ્રતિયુક્તિ થકી ઉમેદવારી રદ્દ થવાના ઘટનાક્રમથી કોને લાભ થઈ રહ્યો છે ? તે સર્વજન સરળતાથી સમજી રહ્યો છે. એથી જ ગુનો આચરનાર અને ગુનો કરાવનાર અને ગુનાથી થતા લાભને અર્જિત કરનારા એમ ત્રણેય વર્ગો છેવટે કાયદાની નજરમાં તો આપી જ છે એ સિધ્ધાંતે છટકબારીઓમાંથી થતા વેપારમાં વેચાતા કોંગ્રેસના ઉમેદવારોની જેમ ભાજપના લાભાર્થીઓ પણ એટલા જ ગુનાગાર હોવાની છાપ જેમની પાસેથી લોકશાહીનો ઉત્સવ- ચૂંટણી અને મતાધિકાર છિનાવયો છે તેમના દિલોદિમાગ ઉપર ઉપસી રહી છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રિજેક્ટ થઈને બીજેપીના ઉમેદવારની બિનહરીફ થવાની ઘટનાએ દેશભરમાં અનેક ચર્ચાઓ શરૂ કરી છે.
સુરત જ નહીં 26એ 26 લોકસભા બેઠક
ભાજપ માટે સલામત, તો આવંુ કેમ? ભાજપ માટે સુરત જ નહિ ગાંધીનગર અને નવસારી સહિત 26માંથી 26 લોકસભા બેઠકો ન માત્ર સલામત છે પરંતુ લક્ષ્યાંક મુજબની લીડ મેળવી શકે તેવી સ્થિતિમાં છે. આવો દાવો છેક વિધાનસભા- 2022માં ઐતિહાસિક 156 ધારાસભ્યોના વિજય સાથે ભાજપમાંથી જ થઈ રહ્યો છે. તો પછી લોકસભા ચૂંટણીમાં ભાજપે બીજી એક પણ નહી અને સુરત લોકસભા બેઠકમાં જ કેમ આવી તક ઝડપી ? કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયા પછી શા માટે લોકતાંત્રિક વ્યવસ્થામાં ઔપચારીકતા ખાતર ચૂંટણી લડવા બહુજન સમાજવાદી પાર્ટી કે અન્ય અપક્ષને ટકી રહેવા, ફોર્મ પરત ન ખેંચવા વિનંતી કરી ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ મુદ્દે ભાજપમાં કોઈ ખુલીને બોલી રહ્યુ નથી પરંતુ, સુરત લોકસભામાં 20 લાખમાંથી આઠેક લાખ મતદારો સૌરાષ્ટ્રના છે. એથી જો ચૂંટણી જ ન યોજાય તો સુરતમાં સૌરાષ્ટ્ર મૂળના ચાર ધારાસભ્યો સહિત આગેવાનો અમરેલીથી લઈને રાજકોટ, પોરબંદર અને ભાવનગરમાં પ્રચારને વેગવંતુ કરી શકે તેટલા માટે બે નોટા પણ ન રહે તેવી સ્થિતિમાં તક ઝડપ્યાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, બે કે તેથી વધુ ઉમેદવારો હોય તો નોટા સાથે મતદાન થઈ શકે છે. પરંતુ, સુરતના મતદારોને હવે તે અધિકાર પણ મળવાપાત્ર રહેતો નથી.


