- આજની પેઢીએ મતદાનને પોતાની નૈતિક ફરજ સમજી મત જરૂર આપવો
- આટલી ઉંમરે આજે પણ સવિતાબા એકદમ સ્વસ્થ છે
- સવિતા બાને આ ઉંમરે પણ ચશ્મા પહેરવાની જરૂર પડતી નથી
આજના ટેકનોલોજીકલ યુગના કારણે આજે માણસ ચાંદ પર પહોંચી ગયો છે. પરંતુ આ ઝડપી અને અત્યાધુનિક યુગમાં માનવીનું જીવન હવે ટુંકુ થઈ રહ્યું છે. વધતું જતું પ્રદૂષણ અને તણાવયુક્ત જીવનશૈલી તેમજ અનિયમિત આહરશૈલીએ માનવીનું આયુષ્ય ઘટાડી દીધું છે. આજના સમયમાં 80 વર્ષ સુધી સ્વસ્થતા સાથે જીવવું એ કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરવાથી ઓછું નથી.
સવિતા બાને આ ઉંમરે પણ ચશ્મા પહેરવાની જરૂર પડતી નથી
કહેવાય છે ને કે, જેમણે પહેલાંનું ઘી ખાધેલું હોય એમના હાડકામાં મજબૂત રહે. ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા સવિતાબેન શાહ જેઓ 102 વર્ષના છે. આજે પણ તેઓ મસ્ત રીતે અને સ્વસ્થ રીતે હરીફરી શકે છે તથા તેમને ભગવાનની કૃપાથી કોઈ પણ પ્રકારનો રોગ નથી. સવિતા બાને આ ઉંમરે પણ ચશ્મા પહેરવાની જરૂર પડતી નથી. અને તેઓ 102 વર્ષે પણ મત આપવા ખૂબ ઉત્સાહિત છે.
સવિતા બાનો જન્મ વર્ષ 1922માં આમોદ ગામમાં થયો હતો
સવિતા બાનો જન્મ વર્ષ 1922માં આમોદ ગામમાં થયો હતો. એમનાં પતિનું નામ મંગલસિંહ, જેમનો સ્વર્ગવાસ થયો હતો. સવિતા બાના લગ્ન 22 વર્ષની ઉંમરે થયા હતા. સવિતા બા અત્યારે એમની છોકરીના ઘરે રહે છે. એમણે એમના પરિવારની 4 પેઢી જોઈ છે. અને હજી લાગે છે કે પાંચમી પેઢી પણ બા જોશે. કિશોર અવસ્થામાં સવિતા બા ગાંધીજીને આમોદની શાળામાં મળ્યા હતા. ગાંધીજી સાથેની મુલાકાતના સંસ્મરણો બા એ વાગોળ્યા છે. સવિતા બા 7 ધોરણ ભણેલા છે. પણ તેઓ અમેરિકા પણ ઘણી વાર ફરી આવ્યા છે.
મતદાન એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે
સવિતા બા એ જણાવ્યું કે, તેઓ ખૂબ જ ઓછું જમે છે. ઉપરાંત એમને કોઈપણ પ્રકારના શાકભાજી ભાવતા નથી. પરંતુ ગળ્યું ખાવાનું ખૂબ જ ભાવે જેમકે સુખડી અને શીરો. જમવા જોડે પણ એમને ખાટુ અથાણું ખૂબ જ પ્રિય છે. તેઓ દરરોજની નિત્યક્રમની કસરતો કરે છે અને આખો દિવસ ભગવાનનું નામ લઈને માળા જપે છે. તથા એમને કામ કરવાનો ખૂબ જ શોખ હોવાથી શાકભાજી સમારવું ગમે છે. તથા પાડોશી પાસેથી પણ શાક સુધારવાનું કામ લઇ આવતા હોય છે. મતદાન જાગૃતિ વિશે તેમણે કહ્યું હતું કે, આજની પેઢી ખૂબ જ આળસુ છે. મતદાન એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે, દરેક નાગરિકે નિભાવવી જોઈએ અને મતદાન જરૂર કરવું જોઈએ.


