- સરદાર સરોવર ડેમમાં પાણીના હયાત જથ્થા અનુસાર સિંચાઈ માટે પાણી આપવા વિચારણા
- ખરીફ પાક વાવણી સમયે સિંચાઈ માટે પાણી આપવા વિચારણા
- નર્મદાના વધારાના પાણી નો જથ્થો સિંચાઈ માટે અપાશે
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યાં છે.ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટે સરકાર વિચારણા કરી રહી છે,ઉનાળા સમયે ખરીફ પાકની વાવણીને લઈ વિચારણા ચાલી રહી છે,તો બીજી તરફ મુખ્યમંત્રી કક્ષાએ પાણી છોડવા બાબતે મંજૂરી માંગવામાં આવી છે,ઉત્તર ગુજરાતમાં કેનાલ આધારીત તથા સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાં સિંચાઈ માટે પાણી આપવા વિચારણા કરાઈ રહી છે.
કમોસમી વરસાદને લઈ ખેડૂતો પાકનું રાખે ધ્યાન
વાદળછાયા વાતાવરણને ધ્યાને લઈ હાલમાં ખેતરમાં ઊભા પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક હોવાનું જણાવ્યું છે. પાકોમાં પાક-જીવાતનો ઉપદ્રવ જણાય તો તુરંત ભલામણ મુજબ પ્રથમ તબક્કે જૈવિક નિયંત્રણ કરવું અને જીવાતની માત્રા વધુ હોય તો રાસાયણિક નિયંત્રણ પતિ અપનાવી ભલામણ મુજબ જંતુનાશક દવાનો છંટકાવ કરવો, વાતાવરણ બદલવાની શક્યતા હોવાને લઈ ઉભા પાકમા હલ પૂરતુ પિયત ન આપવુ, ખેતરમાં રહેલ ઘાસચારાના ઢગલાને વ્યવસ્થિત રીતે ઢાંકવા આ અંગે વધુ જાણકારી ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર-૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવા જણાવ્યું છે.
પોરબંદરમાં પાકને નુકસાન
પોરબંદરના બરડા પંથકમાં સરકારે સૌની યોજના હેઠળ સિંચાઇનું પાણી આપ્યું નથી. તંત્ર દ્વારા ડિસેમ્બર માસમાં દરખાસ્ત કરવામાં આવી હતી છતાં પાણી છોડવામાં આવ્યું નથી જેને પગલે બરડા પંથકમાં સિંચાઇનું પાણી ન હોવાથી ઉનાળુ પાકને નુકશાન થયું છે અને હવે આ પંથકના ખેડૂતો ચોમાસા પહેલા આગોતરું વાવેતર પણ કરી શકશે નહિ. હાલની સ્થિતિએ બરડા પંથકમાં પાણી ન હોવાથી ખેતરો, કુવા, નદી અને કેનાલ ખાલીખમ ભાસે છે.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની દશા ખરાબ
સરહદી બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી પાણીની બુંદ બુંદ માટે વલખા મારી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક તાલુકાઓ છે કે જ્યાં છેલ્લા પાંચ વર્ષથી પાણી માટે લોકો ભારે હલાકીનો સામનો કરી રહ્યા છે. મોટાભાગે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના તાલુકાઓમાં જેમ જેમ પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તેમ તેમ પાણીની સમસ્યા વિકટ બનતી જઈ રહી છે.
મહીસાગરમાં પાણી માટે વલખા
મહીસાગર જિલ્લાના સુજલામ્ સુફલામ્ પૂર્વ યોજના હેઠળ પાંડવા ગામે આવેલા ઘાટિયા તળાવમાં ગ્રાન્ટ મંજુર થયેલી હોવા છતાં આજ દિન સુધી પાણી ભરવામાં આવ્યું નથી. આ બાબતે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરેલી હતી. જે બાબતે સુજલામ સુફલામ સ્પેનગ કેનાલની સાથળ ૫૭,૨૯૦ કી.મી. પરના એચ.આર મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના પાંડવા તાબે ટીંબાનાં મુવાડા (પંટિયા) તળાવ ભરવા માટે પત્રથી અંદાજીત રકમ રૂા. ૭.૫૪ કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલી છે. પ્રાંત કચેરી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હતી પરંતું જેતે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓએ આંખ આડા કાન કરી કાર્યવાહી ન કરતા ખેડૂતો પાણી વગર વલખા મારી રહ્યા છે.


