૬ વર્ષનો 3.૨૨ કરોડનો વેરો ભર્યો જ નથી : પ્રોપર્ટી ટેકસ અને વોટર ટેકસના રૂપિયા ભરવાના બાકી
રાજકોટ કલેકટર તંત્ર દ્વારા છેલ્લા છ વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં પ્રોપર્ટી ટેકસ અને વોટર ટેકસની રૂ.3.૨૨ કરોડનો વેરો આજ સુધી ભરવામાં આવ્યો નથી. રાજકોટ મનપાની વેરાવસુલાત શાખા દ્વારા અન્ય નાના મોટા આસામીઓને નોટીસો ફટકારવામાં આવે છે અને મિલ્કતો સીલ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા છ વર્ષથી ટેકસ નહી ભરનાર કલેકટર તંત્ર સામે જાણે કે લાજ કાઢવામાં આવતી હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજકોટ કલેકટરને આ ટેકસ ભરવા માટે સરકાર પાસેથી ગ્રાન્ટ લેવી પડશે તેવું સૂત્રોમાં ચર્ચાઇ રહ્યું છે.
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી પાસે મનપાએ પ્રોપર્ટી ટેક્સ પેટે રૂપિયા 2.5 લાખ અને વોટર ટેક્ષ પેટે રૂપિયા 1.17 કરોડ આમ કુલ 3.22 કરોડની વસુલાત કરવાની બાકી હોવા છતાં પણ મ.ન.પા.ની વેરા વસૂલાત શાખા માત્ર નોટીસ આપીને સંતોષ માની રહ્યું છે.આમ મ.ન.પા વેરો વસૂલવામાં પાણીમાં બેસી ગયું હોય તેમ લાગી રહ્યું છે. જીલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે મહાનગર પાલિકાનો વેરો ભરવા માટે રાજય સરકાર પાસે ગ્રાન્ટ માગવામાં આવશે.
ગરમીના કારણે જનસેવા કેન્દ્ર સવારે ૯ વાગ્યે ખૂલશે
રાજકોટ શહેર તથા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી આકરી ગરમી પડી રહી હોય જન સેવા કેન્દ્રમા અરજદારોને તાપમાં હેરાન થવુ ન પડે તે માટે હાલનો જે સમય છે તેમાં ફેરફાર કરવામા આવ્યો છે અને સવારે 9 થી 1 વાગ્યા સુધી કામગીરી કરવામાં આવશે અને 1થી 4 સુધી રીષેસ અને 4 વાગ્યા પછી કામગીરી કરવામાં આવશે તેમ જીલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું.


