- 11 શખ્સોએ લોખંડના પાઈપ, લાકડી અને ધોકા વડે માર માર્યો
- ફરિયાદી સહિત 4 ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા
- હાથમાં લોખંડના પાઈપ, લાકડી અને લાકડાના ધોકા લઈ ધસી આવ્યા
મુળી તાલુકાના ગઢાદ ગામે રહેતા 24 વર્ષીય સુરેશભાઈ ખોડાભાઈ ગળધરીયા ખેતી કરે છે. તા. 23 મેના રોજ રાત્રે તેઓ ગામમાં સોડા પીને ઘર તરફ આવતા હતા. રસ્તામાં મોબાઈલ જોતા જોતા તેઓ ગામના રણછોડભાઈ ઉર્ફે કુકો નાનજીભાઈ ચીહલાના ઘર પાસે ઉભો રહ્યો હતો. ત્યારે ધાબા પરથી દીલીપ નાનજીભાઈ ચીહલાએ બુમ પાડી અમારા ઘર પાસે કેમ ઉભો છે તેમ કહ્યુ હતુ. આથી સુરેશભાઈ ઘર તરફ જતા રહ્યા હતા. જયારે તા. 26ના રોજ બપોરે સુરેશભાઈ પરીવાર સાથે ઘરે જમવા બેસતા હતા. ત્યારે અશોક રમેશભાઈ ચીહલા, અજય દીલીપભાઈ ચીહલા, અશ્વીન મહાદેવભાઈ ચીહલા, રણછોડ ઉર્ફે કુકો નાનજીભાઈ ચીહલા, પીન્ટુ મનસુખભાઈ ચીહલા, વિષ્ણુ મહાદેવભાઈ ચીહલા, દીલીપ નાનજીભાઈ ચીહલા, સુરેશ રમેશભાઈ ચીહલા, સંજય મનસુખભાઈ ચીહલા, મહાદેવ કરમશીભાઈ ચીહલા અને નાનજી કરમશીભાઈ ચીહલાએ હાથમાં લોખંડના પાઈપ, લાકડી અને લાકડાના ધોકા લઈ ધસી આવ્યા હતા. અને અમારા ઘર પાસે કેમ ઉભો રહે છે તેમ કહી સુરેશ ગળધરીયા, વિષ્ણુભાઈ ગળધરીયા, રમેશભાઈ દાનાભાઈ અને જાદવભાઈ દાનાભાઈને માર મારી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને મુળી સરકારી દવાખાને પ્રાથમીક સારવાર આપી સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. આ અંગે મુળી પોલીસ મથકે સુરેશભાઈ ગળધરીયાએ ફરિયાદ નોંધાવી હતી.


