- ભાવનગરમાં 43.6, ગાંધીનગરમાં 43.4, રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન
- આગામી ચાર-પાંચ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
- ચામડી દઝાડતી ગરમીની સાથેસાથે અસહ્ય ઉકળાટ રહેતા લોકો પરસેવે રેબઝેબ બન્યા
અમદાવાદ સહિત રાજ્યમાં સોમવારે તાપમાનો પારો ઊંચકાતાં ગરમીનો પ્રકોપ વધ્યો હતો. ગરમીના લીધે વડોદરામાં બે વ્યક્તિના મોત નિપજ્યાં છે. અમદાવાદમાં મંગળવારે મહત્તમ તાપમાન 44.1 ડિગ્રી નોંધાતા બપોરના સમયે અગનગોળા વર્ષાવતી ગરમીનો વર્તારો રહ્યો હતો. અમદાવાદ આજે રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર નોંધાયું હતું. બીજી તરફ ભાવનગરમાં 43.6, ગાંધીનગરમાં 43.4 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતા દ્વારા અપાયેલા સંકેતો મુજબ આગામી ચાર-પાંચ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે. અમદાવાદમાં આજે નોંધાયેલું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધુ નોંધાયુ છે. ચામડી દઝાડતી ગરમીની સાથેસાથે અસહ્ય ઉકળાટ રહેતા લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા. આગામી એક સપ્તાહ સુધીમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની કોઈ જ શક્યતાઓ ન હોવાના સંકેતો પણ હવામાન ખાતા દ્વારા અપાયા છે.
વડોદરામાં પ્રતાપનગર વિસ્તારમાં રહેતા 44 વર્ષીય મુકેશ સંપતભાઈ માળીને 22મીના રોજ તબિયત લથડતાં સારવાર માટે સયાજી હોસ્પિટલના હિટ સ્ટ્રોક વોર્ડમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. બીજી ઘટનામાં વડોદરામાં બે લોકોના ગરમીના કારણે મોત થયા હતા. આ વખતે અડધો મે મહિનો પૂર્ણ થયા બાદ સતત તાપમાનનો પારો ઊંચકાતાં ગુજરાતનો મોટાભાગનો હિસ્સો અગનભઠ્ઠી બની ગયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં પારો 46 ડિગ્રીને પાર પહોચતાં લોકો તોબાહ પોકારી ઉઠયાં હતા. જોકે બાદમાં સતત પારો નીચે ઉતરતાં લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ ફરી સોમવારના રોજ અમદાવાદમાં પારો 45 ડિગ્રીને પાર જતાં ગરમીનું જોર વધ્યું હતુ.


