જવાબદાર અધિકરીઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધ હેઠળ કાર્યવાહી કરવા માંગ: કોર્ટે માંગ્યો તાલુકા પોલીસ પાસે રિપોર્ટ
રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર ભાર્ગવ, પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સહિત સસ્પેન્ડ થયેલા અને આ ઘટનામાં જે જવાબદાર છે તેવા અધિકારીઓ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. તમામ સામે સાપરાધ મનુષ્ય વધ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. કોર્ટે તાલુકા પોલિસ પાસે તમમાં રિપોર્ટ માંગ્યા છે.
જેમની સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે તેમાં રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, પૂર્વ ડીસીપી સુધીર દેસાઇ, પૂર્વ એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ઈજનેર જયદીપ ચૌધરી, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોષી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, માર્ગ-મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર. સુમા, તત્કાલીન મદદનીશ ઇજનેર પારસ કોઠીયા, રીડર શાખાના પીઆઈવી.આર. પટેલ, તાલુકા પોલીસ મથકના તત્કાલીન પીઆઈ એન.આઈ. રાઠોડ, ચિફ ફાયર ઓફિસર ઈલેશ ખેર અને ડેપ્યુટી ચિફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા ઉપરાંત તપાસમાં ખૂલે તે તમામનો સમાવેશ થાય છે.
ફરિયાદી એડવોકેટ વિનેશ છાયાએ જણાવ્યું કે ફરિયાદના પગલે અદાલતે તપાસ પોતાની પાસે રાખી તાલુકા પોલીસને આગામી તા. ૨૦ જૂન સુધીમાં રિપોર્ટ કરવા આદેશ કર્યો છે.
ફરિયાદમાં તમામ આરોપીઓએ પોતાની ફરજમાં બેદરકારી દાખવતા ત્રીસેક જણાના મોત નિપજ્યાનુ જણાવાયું છે. જેને કારણે તમામ અધિકારીઓ વિરૂધ્ધ સાપરાધ મનુષ્ય વધની આઈપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮ અને ૧૧૪ હેઠળ કાર્યવાહી કરવા રાજકોટના ચિફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.


