- જોખમી સરકારી મકાનોને લઈને GMCનો નિર્ણય
- ભયજનક સરકારી મકાનો ખાલી કરાવવા આવશે
- પાણી અને વીજ કનેક્શન પણ કાપવામાં આવશે
ગાંધીનગરમાં છેલ્લા કેટલાય સમયથી જર્જરિત મકાનોનો મુદ્દો ખાસ્સો ચર્ચામાં છે ત્યારે, હવે રાજકોટ અગ્નિકાંડને લઈને ગાંધીનગર મહાનગરપાલિકા એક્શનમાં આવી ગયું છે અને ગાંધીનગરમાં ભયજનક સરકારી મકાનોને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ટૂંક સમયમાં શહેરમાં આવેલા અને જોખમી બની ગયેલા સરકારી મકાનોને ખાલી કરાવવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવાં આવશે.
જાણવા મળી રહ્યું છે કે પાટનગર ગાંધીનગરમાં હાલના સમયમાં 1034 અત્યંત ભયજનક મકાનો આવેલા છે. આ મકાનોને ખાલી કરવા માટે આ પહેલા પણ અનેકવાર નોટિસ આપવામાં આવી હતી. પરંતુ તેને લઈને કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી. ત્યારે હવે, આ જોખમી મકાનો ખાલી કરાવવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા ભયજનક સરકારી મકાનો ખાલી કરાવવા પાણીના કનેક્શન અને ઈલેક્ટ્રિસીટીના કનેક્શન કાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


