અગ્ર ગુજરાતની કેચ લાઇન છે. એક કદમ આગળ. ૧ જુન ર૦ર3ના રોજ અખબારોના ધામ રાજકોટની ધરતી ઉપરથી અગ્ર ગુજરાત સાંધ્ય દૈનિકનો પ્રારંભ થયો. સવાર સાંજના અનેક અખબારોથી ઓવર સેચ્યુરેટેડ રાજકોટમાં વધુ એક અખબાર શરૂ થયુ ? એવો સવાલ પણ અગ્ર ગુજરાતના આગમન સમયે ઉભો થયો.પરંતુ ૧જુન ર૦ર૪ના રોજ અગ્ર ગુજરાતના પ્રાગટયને બરાબર એક વર્ષ પૂર્ણ થયુ. એક વર્ષમાં અગ્ર ગુજરાતે ઠીક ઠીક પ્રગતિ કરી છે.આ સવાલ હવે હવામાં નથી. અગ્ર ગુજરાતની પ્રિન્ટ કોપી અને ડિજીટલ કોપીનો કોમ્બો નવા ડાયનેમિકસ ઉભા કરવામાં સફળ રહી છે.બપોરે સાડા ત્રણ વાગ્યે કદાચ કોઇ વાંચકને વોટસેપ કોપી ન મળી હોય તો તેમનો ફોન કે મેસેજ આવે ત્યારે અંદરથી હરખ થાય છે. સાલ્લુ કોઇ તમારો કાન ખેંચવાવાળુ છે. જે તમારું નથી છતાં તમારા છે. એ વાંચક રાજા છે. આ વાંચકને આજે પ્રથમ બર્થ ડે નિમિતે થેન્કયુ કહેવું છે. અગ્ર ગુજરાતના તમામ શુભેચ્છકને થેન્કય યુ. કહેવુ છે. શા માટે અગ્ર ગ્રુજરાત ખાસ છે. એ કહેવુ છે. સૌ પ્રથમ તો પત્રકારત્વમાં એક કદમ આગળ રહેવાની કેચ લાઇનને અમે વળગી રહયા છીએ.પ્રથમ અંકના પ્રાગટય સમયે જ અમે કહયુ હતું કે પોઝિટિવ જર્નાલિઝમને અમે વરેલાં છીએ. આ સિવાય કોઇ મોટા દાવા નહોતાં કર્યા.બસ એક વર્ષ બાદ આ બન્ને બાબતમાં અગ્ર ગુજરાત ખરુ ઉતર્યુ છે. અગ્ર ગુજરાતને સમાજના તમામ વર્ગમાંથી સકારાત્મક આવકાર મળ્યો છે. તમારી સાથે કોણ જોડાય છે. તમારા અખબારમાં કઇ બાબતનો પડઘો નથી પડતો અથવા કઇ બાબતમાં હજુ અગ્ર ગુજરાતે વધુ ધ્યાન આપવાની જરૂર છે તેવા સૂચનો સમાજના મુખ્ય વર્ગના અગ્રણીઓમાંથી આવવા માંડે એટલે સમજવાનું કે તમારી પાસે લોકોની અપેક્ષા વધી છે. પીળુ,કાળુ,ભુખરુ પત્રકારત્વ કરવાને બદલે અમે જે પારદર્શક પત્રકારત્વના માર્ગે આગળ વધ્યા ત્યારથી સમાજના તમામ વર્ગમાંથી અગ્ર ગુજરાતને અવિરત આવકાર મળ્યો.
પ્રારંભે જ ગુજરાતના ભયંકર વાવાઝોડામાં અગ્ર ગુજરાતે પ્રિન્ટ અને સોશિયલ મિડિયાના માધ્યમથી લાઇટનીંગ સ્પીડથી સમાચારો પિરસ્યા તેની સમગ્ર ગુજરાતે નોંધ લીધી. કોઇ નવું અખબાર હોય તેમ નહિ વરસોથી તપસ્યા કરીને અનુભવથી નિખરેલું હોય એવા ઠાઠથી અગ્ર ગુજરાત ધીમે ધીમે લોકહ્દયમાં સ્થાન કરવા માંડયુ. એટલે જ રાજકોટમાં એક ઢોસાવાળાએ સરકારી પ્લોટમાં અઠ્ઠેદ્વારકા કરી હપ્તાખોર રાજકિય નેતાઓ અને અધિકારીઓ સાથેની સાંઠગાંઠથી રાજ જમાવ્યુ હતું એ દૂર કરવા આ વિસ્તારના લોકોએ અગ્ર ગુજરાતને રજૂઆત કરી. અગ્ર ગુજરાતની ઝુંબેશ રંગ્ લાવી. એ ઢોસાવાળાને ખુદ તંત્રએ જ ત્યાંથી હટાવી દીધો.લતાવાસીઓ ન્યુસન્સમાંથી મુકત થયા. ડી.એચ. કોલેજથી હેમુગઢવી હોલ તરફ જતાં દસ્તુર માર્ગમાં કેટલાક રાજકિય નેતાઓ,અધિકારીઓની સાંઠગાંઠથી રાત્રી બજાર ઉભી થઇ ગઇ હતી. હપ્તારાજ ચાલતું હતું. આસપાસમાં રહેતાં લોકોએ અગ્ર ગુજરાતને રજૂઆત કરી. અગ્ર ગુજરાત ફરી લોક અવાજ બન્યુ. પ્રજા માટે બનાવેલા માર્ગ ઉપરથી રાત્રી બજારની કાયમી વિદાય કરવા તંત્રને ફરજ પડી.પ્રજાલક્ષી પત્રકારત્વનું પરિણામ એ આવ્યુ કે જયાં અધિકારીઓ અને નેતાઓની ભ્રષ્ટાચારની જુગલબંધીથી આવા ગોરખધંધા ચાલતાં હોય ત્યાં તેને દૂર કરવા લોકો અગ્ર ગુજરાતને ઝુંબેશ ઉપાડવા આશા રાખવા માંડયા. જાણિતા વકિલ મિત્રએ કહયુ કે છોટુનગરમાં ભંગારિયાઓને લોકોનું જીવવું હરામ કરી દીધુ છે. રસ્તાઓ ઉપર બેફામ દબાણ અને ન્યુસન્સ છે. અગ્ર ગુજરાત કંઇક કરી શકે તો. સ્થાપિત હિતોનો અડ્ડો બની ગયેલા આ સ્થળે પણ ઝુંબેશ ચલાવી ન્યુસન્સ દૂર કરવા તંત્રને મજબુર કર્યુ. આવા અનેક દાખલાઓથી લોકોએ એ પૂછવાનું બંધ કરી દીધુ કે અગ્ર ગુજરાતની કેટલી પ્રતો છે. ? અગ્રગુજરાતનો ઇમ્પેકટ લોકોએ અનુભવ્યો.
એવું નથી કે માત્ર તંત્રની ઝાટકણી કાઢવી એ અગ્ર ગુજરાતનું પ્રાધાન્ય છે. વૈશ્વિક પ્રવાહોને સમજી ગુજરાતના વિકાસને તેની સાથે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોઇ નિરક્ષિર તપાસી તમામ ક્ષેત્રની બાબતોને અગ્ર ગુજરાતના માધ્યમથી વાંચકોને પીરસવી એ પણ અમારી પ્રાયોરિટી રહી છે. રાજકોટના આંતરરાષ્ટ્રિય એરપોર્ટને અમોએ રાજકોટના વિકાસની ઉડાન તરીકે નવાજી છે. એઇમ્સને સૌરાષ્ટ્રના હેલ્થકેરના નવા ઇતિહાસ તરીકે અમે ઓવારણા લીધા છે. સૌની યોજનાએ સૌરાષ્ટ્રના નપાણિયા પ્રદેશની પ્યાસ બુઝાવીછે એવું કહી રાજય સરકારને અને પી.એમ. મોદીના વિઝનને અમે અભિનંદન આપવામાં કદી પાછી પાની નથી કરી. અગ્ર ગુજરાત સાચી દિશામાં છે એ ત્યારે ખબર પડે છે જયારે ગાંધીનગર,અમદાવાદ,સુરત, પાટણ,ચાણસ્મા,મોરબી,ધારી ,રાજુલા, અમરેલી, જૂનાગઢ, દીવ,વેરાવળ સોમનાથ,ભુજથી જામેલા અખબારના પ્રતિનિધિઓ અગ્ર ગુજરાત સાથે જોડાવા પોતાની ઇચ્છા વ્યકત કરે છે. અને અગ્ર ગુજરાતના કોન્ટ્રિબ્યુટર તરીકે જોડાઇ પણ જાય છે.અનુભવી પત્રકારોને આ અખબાર સાથે સફર કરવાનું મન થાય એ પણ એક સારી નિશાની છે.
અગ્ર ગુજરાતની એક વર્ષની મજલ લખવા માટે આજનો એડિટ ટુંકો પડે. પણ ગાગરમાં સાગર તરીકે કહેવું હોય તો લોકોએ જયારે અગ્ર ગુજરાતમાં શરૂઆઉતનું ડાયનેમિઝમ કયાંક ઝાંખુ પડતુ જોયુ ત્યારે અંગત રીતે ફોન કરીને અથવા રૂબરૂ આવીને કાન પણ આમળ્યો છે. આવુ મોઢા મોઢ કહેનારા લોકો એક વર્ષ પહેલાં મારા પરિચિત વર્ગમાં નહોતા. અગ્ર ગુજરાતના માધ્યમથી દોસ્તીનો આ નવો અધ્યાય શરૂ થયો. રાજકોટને વધુ એક સાંજના અખબારની જરૂર છે. આટલાં અખબારો છે છતાં પત્રકારત્વમાં કયાંક શૂન્યાવકાશ છે. આપણા માટે જગ્યા છે. એ ભરોસે શરૂ કરેલી સફરને સત્કાર મળ્યો છે.
છતાં એક વર્ષની સફર અગ્ર ગુજરાત માટે લાલ જાજમ નથી રહી. દિલોજાન મિત્ર અને અગ્ર ગુજરાતના પથદર્શક દિલીપ ગોહિલે અચાનક સાથ છોડી દીધો. ર૭ જાન્યુઆરી ર૦ર૪ના રોજ દિલીપ ગોહિલ સૌને છોડી લાંબા ગામતરે ચાલી ગયા. જેમના ભરોસે આ અખબાર શરૂ કર્યુ હતું. એ મિત્ર શરૂઆતની સફરમાં જ ચાલી નિકળે એ અકલ્પનિય હતું. દિલીપ ગોહિલના અવસનાનના દિવસે આંતરરાષ્ટ્રિય બાબતોને લગતો છણાવટવાળો એક એડિટ મેં લખ્યો. એ પ્રસિધ્ધ થયો. બાદમાં એક મિત્ર અખબારના તંત્રીનો સાંજે મેસેજ આવ્યો. ભાઇ આ સ્થીતિમાં આવા વિષયે આટલી સ્થીતપ્રજ્ઞતાથી કેમ લખી શકયા.? જવાબ એક જ હતો. દિલીપ ગોહિલ. દિલીપ ગોહિલને આનાથી વધુ સારી અંજલી આપી જ ન શકાય. તેમણે આજીવન ખુબ જ મૃદુતાથી વાંચકોના થઇને રહેવાનું પસંદ કર્યુ. હતું . સુખ દુ:ખમાં વ્યકત ન થઇ કલમને તમામ લાગણીઓનું માધ્યમ બનાવ્યુ હતું. બસ એ જ પ્રેરણાસ્તોતને ધ્યાને રાખી શો મસ્ટ ગો ઓન શરૂ કર્યુ. અગ્ર ગુજરાતના તમામ સ્ટાફ મિત્રોએ અગ્ર ગુજરાતના પ્રમોટરોએ આ પડકારને સકારાત્મક રીતે લીધો. આગળની સફર અડગ પગલાંથી શરૂ કરી. ટીઆરપી આગકાંડમાં સત્યને ઉજાગર કરવા અગ્ર ગુજરાતે ફરી એક વખત એક કદમ આગળ રહેવાની ભૂમિકા ભજવી.
દિવસના સોળ સતર કલાક કામ કરવાની સકારાત્મક ઉર્જા અગ્ર ગુજરાતના વાંચકોએ આપી. વોટસેપમાં એક એક પીસ અંગે પીઠ થપથપાવતાં અજાણ્યાવાંચકોએ પોરસ ચઢાવ્યુ. કોઇએ કહયુ કે અગ્ર ગુજરાતના સુંદર લે આઉટ,અનોખી રજૂઆત અને પારદર્શક પત્રકારત્વ કમાલનું છે. આ પ્રોમીસીંગ અખબાર છે. બસ લોકોના માનસમાં આવી છાપ સાથે એક વરસ પૂર્ણ કર્યુ અને કોલર ઉંચા કરી સમાજમાં સાચી વાત કરવાનું પોત જાળવી રાખ્યુ એ જ અગ્ર ગુજરાતની સાચી કમાણી છે. વાંચકો જ રાજા છે. પ્રજાની વફાદારી,તરફદારી કરવી એટલી સામાન્ય સમજ સાથે શરૂ કરેલી સફર જ અગ્ર ગુજરાતને એક એક કદમ આગળ લઇ જશે. એ જ અડગ નિર્ધાર છે. : અસ્તુ.


