રાજકોટ દુર્ઘટના સર્જાતાં નિર્ણય લેવાયો: ડિસિપ્લિનમાં રહેવા હાઇકમાંડનો આદેશ
રાજકોટમાં સર્જાયેલી આગ દુર્ઘટના બાદ ભાજપ હાઇકમાંડ દ્વારા ચુંટણીના પરિણામ બાદ ગુજરાતમાં વિજયની ઉજવણી નહિ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ આગેવાન, નેતા અને કાર્યકરોને સાદગીમાં રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યભરમાં ક્યાંય પણ ફટાકડા નહિ ફોડવા અને મીઠાઇ પણ નહિ વહેચવા માટે સૂચના આપવામાં આવી છે.
રાજકોટ વાસીઓનો રોષ જોતાં સૌ પ્રથમ રાજકોટ ભાજપે આવો નિર્ણય કર્યો હતો પરંતુ હવે પ્રદેશ ભાજપે પણ આવો નિર્ણય કર્યો છે. એટલે કે ભાજપના જે ઉમેદવારો વિજેતા જાહેર થાય તે પછી કોઈપણ ઠેકાણે તેની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવશે નહીં. લોકસભાની ૨૫ બેઠકોની સામાન્ય તેમજ વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ ૪થી જૂને આવવાનું છે.
રાજકોટની દુર્ઘટના પછી પ્રદેશ સંગઠને એવો નિર્ણય લીધો છે કે ચૂંટણીના પરિણામોમાં વિજય પછી કોઈપણ જાતની ઉજવણી કરાશે નહીં. પાર્ટીની એક વર્ચ્યુઅલ બેઠકમાં ૪થીએ મતગણતરી થવાની છે ત્યારે તેના સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી હતી. રાજયના પદાધિકારીઓ અને કાર્યકરોને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે કે વિજયને સંયમતા અને સાદાઇથી મનાવવામાં આવશે. કાર્યકરોએ વિજય સરઘસ કાઢવા નહી. ફટાકડાં ફોડવા નહીં. એકબીજાને મીઠાઇ વહેંચવી નહી અને ફુલ કે ગુલાબ ઉડાડીને વિજેતાનું અભિવાદન કરવું નહી.
એટલું જ નહીં ઢોલ-નગારા કે ડીજે સિસ્ટમની વ્યવસ્થા કરવાની નથી. ભાજપ કાર્યાલય પર રોશની કરવાની નથી. સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો પણ ટાળવાની સૂચના આપવામાં આવી છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં ૨પમી મેના રોજ બનેલી દુ:ખદ ઘટનાને પગલે પ્રદેશ ભાજપે આવા નિર્ણયો લીધા છે. લોકસભા અને વિધાનસભાના ઉમેદવારોન. પણ આવી સૂચના આપવામાં આવી છે.


