- સાબરકાંઠામાં વર્ષ 2023ની તુલનામાં કરતાં પ્રતિ 20 કિલોના ભાવમાં સરકારે રૂ. 30નો વધારો કરતા મણના રૂ. 560 મળશે
- ત્યારબાદ જિલ્લામાં માન્ય ખરીદ કેન્દ્રોમાં બાજરીની ખરીદી શરૂ કરાઈ છે
- આ ઉપરાંત તેના નાણાં ખેડૂતોને તેમના બેંક ખાતા મારફતે ચૂકવાય છે
રાજય સરકાર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળુ બાજરીની ખરીદી કરવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે આ વર્ષે ટેકાના ભાવે બાજરી વેચવા માટે જિલ્લાના અંદાજે 1450 ખેડૂતોએ નોંધણી કરાવ્યા બાદ જિલ્લાના વિવિધ ખરીદ કેન્દ્રો પર પુરવઠા વિભાગ દ્વારા જાણ કરીને ખેડૂતોને બોલાવાઈ રહયા છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સરકારે બાજરીના ટેકાના ભાવમાં પ્રતિ 20 કિલો દીઠ રૂ.30નો વધારો કરાયો છે.
આ અંગેની વિગત એવી છે કે માથે ચોમાસુ ભમી રહયુ છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદમાં આગોતર વાવેતર કરાયેલ ઉનાળુ બાજરી પાકીને તૈયાર થઈ ગઈ છે. દરમિયાન રાજય સરકારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળુ બાજરી ખરીદવા માટે થોડાક સમય અગાઉ નિર્ણય કર્યો હતો. ત્યારબાદ બાજરી વેચવા માંગતા ખેડૂતોને નોંધણી કરાવવા માટે જણાવાયું હતુ. જેના પરિણામ સ્વરૂપે આ વર્ષે અંદાજે 1450 ખેડૂતોએ નોંધાણી કરાવી હતી. ત્યારબાદ જિલ્લામાં માન્ય ખરીદ કેન્દ્રોમાં બાજરીની ખરીદી શરૂ કરાઈ છે. જોકે કેટલાક ખરીદ કેન્દ્રો પર ખેડૂતોની અપેક્ષા કરતાં ઓછા ખેડૂતોને બોલાવાતા હોવાનું માનીને ખેડૂતોએ તેની સામે નારાજગી પણ વ્યક્ત કરી છે.
ગત વર્ષે સરકારે ખરીદ કેન્દ્રો મારફતે ઉનાળુ બાજરીની ખરીદી પ્રતિ 20 કિલોના રૂ.530ના ભાવે ખરીદી હતી. જેની સામે આ વર્ષે સરકારે બાજરીના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. જે અંતર્ગત આ વર્ષે ખેડૂતો પાસેથી અંદાજે રૂ.560 પ્રતિ 20 કિલોના ભાવે બાજરીની ખરીદી કરાઈ રહી છે.
તો બીજી તરફ ખુલ્લા બજારમાં બાજરીનો ભાવ પ્રતિ 20 કિલોના અંદાજે રૂા.440થી 500ના ભાવે વેપારીઓ ખરીદી રહયા છે. પુરવઠા વિભાગ દ્વારા ખરીદ કેન્દ્રો મારફતે ખેડુતો પાસેથી લેવામાં આવતી બાજરીને પેક કર્યા પછી તેનું વજન કરવામાં આવે છે. આ ઉપરાંત તેના નાણાં ખેડૂતોને તેમના બેંક ખાતા મારફતે ચૂકવાય છે. જેના લીધે ખેડૂતોને ખાસ કોઈ મુશ્કેલી વેઠવી પડતી નથી.
બાજરીની ખરીદી કયાં સુધી ચાલુ રહેશે? : પુરવઠા વિભાગ દ્વારા ટેકાનાભાવે બાજરીની ખરીદીની શરૂઆત લગભગ ગત તા. 1પમી મેથી શરૂ કરાઈ હતી. જે તા.15મી જુલાઈ સુધી ચાલુ રહે છે. એક અંદાજ અત્યાર સુધીમાં 88 ખેડુતો પાસેથી બાજરીની ખરીદી કરાઈ હોવાનું પુરવઠા મેનેજર વિજયભાઈ પટેલનું કહેવું છે.


