- શનિવારે જિલ્લામાં મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું
- શુક્રવારે સાંજે લીંબડી, મૂળી તેમજ સુરેન્દ્રનગરમાં હળવી મેઘમહેર
- આ ઝાપટુ પણ ઠંડક પ્રસરાવવાના બદલે બફારામાં વધારો કરી ગયો હતુ
સુરેન્દ્રનગરમાં શનિવારે દિવસભર સુર્યનારાયણે આકરો તાપ વરસાવ્યો હતો. ત્યારે સાંજના સમયે શહેરમાં વરસાદી ઝાપટુ આવ્યુ હતુ. પરંતુ આ ઝાપટુ પણ ઠંડક પ્રસરાવવાના બદલે બફારામાં વધારો કરી ગયો હતુ. તેમજ લખતર સહિત તાલુકાના સદાદ, કેસરિયા, ઝમર, ભઢવાણા સહિતના ગામોમાં સમી સાંજે ઝાપટુ ખાબક્યું હતું. જિલ્લામાં શનિવારે મહત્તમ તાપમાન 41.8 ડીગ્રી નોંધાયુ હતુ.
રાજયમાં સરકારી ચોપડે ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે. પરંતુ રાજયના બીજા જિલ્લાઓમાં હેત વરસાવતા અને વાવણી લાયક વરસાદ કરતા મેઘરાજાનું હજુ સુધી ઝાલાવાડમાં ધમાકાભેર આગમન થયુ નથી. શુક્રવારે સાંજે સુરેન્દ્રનગર, લીંબડી, મૂળીમાં આવેલા ઝાપટા બાદ શનીવારે સવારથી સુર્યનારાયણ આગ વરસાવતા હતા અને લોકો વરસાદની રાહ જોતા હતા. પરંતુ સાંજના 5 કલાકના સમયે સુરેન્દ્રનગર શહેરમાં હળવુ વરસાદી ઝાપટુ આવ્યુ હતુ. તડકા વચ્ચે આવેલ આ ઝાપટાથી માત્ર રસ્તાઓ ભીના થયા હતા. લોકો વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરશે તેમ માનતા હતા. પરંતુ આ ઝાપટા સ્વરૂપે આવેલ વરસાદ ઠંડક પ્રસરાવવાના બદલે બફારામાં વધારો કરી ગયુ હતુ. બીજી તરફ તાપમાનનો મહત્તમ પારો શુક્રવારના 41.7 ડીગ્રીથી થોડે ઉપર જઈને 41.8 ડીગ્રી નોંધાયો હતો.


