- મેયર નયનાબેન પેઢડિયા 5 દિવસ બ્રાઝિલના પ્રવાસે
- મેયર શોક પાડવાના બદલે વિદેશ યાત્રાએ નિકળશે
- ઇકલીની કોન્ફરન્સમાં હાજરી આપવા મેયર વિદેશ જશે
રાજકોટમાં અગ્નિકાંડની તપાસ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે,રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા આવતીકાલથી 5 દિવસ બ્રાઝિલ પ્રવાસે ઇકલીની કોન્ફરન્સમાં હાજરી આપવા માટે જશે.મેયર શોક પડવાના પડલે વિદેશ યાત્રાએ નિકળી ગયા હોવાથી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.આગામી તારીખ 17થી 22 જૂન દરમિયાન બ્રાઝીલમાં યોજાનાર ઇકલીની 5 દિવસીય કોન્ફરન્સમાં તેઓ હાજરી આપશે.
કેવી રીતે વિદેશ જવા માટે જીવ ચાલે
રાજકોટનાં ટીઆરપી ગેમ ઝોનમાં ગત તારીખ 25મેનાં રોજ લાગેલી ભીષણ આગમાં 27 લોકો ભડથું થયા હતા. જેને લઈને લોકસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયની ઉજવણી પણ કરવામાં આવી નહોતી. જોકે હજુ આ દર્દનાક ઘટનાને એક મહિનો પણ પૂર્ણ થયો નથી ત્યાં મેયર નયનાબેન પેઢડીયા વિદેશ પ્રવાસ માટે તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે
શહેરનાં મેયર નયનાબેન પેઢડિયાને સાઉથ એશિયામાં કાર્યરત ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઇક્લી દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેને માન આપી ઇકલી સંસ્થા દ્વારા બ્રાઝિલમાં યોજાનાર 5 દિવસીય કોન્ફરન્સમાં હાજરી આપવા માટે મેયર નયના બેન પેઢડીયા તૈયારી કરી રહ્યા છે. તા.17થી 22 જૂન દરમિયાન કોન્ફરન્સ યોજાનાર હોય મેયર પાંચ દિવસ ત્યાં હાજરી આપશે.
મેયર ઇક્લી સંસ્થાની એકઝીક્યુટિવ કમિટીનાં મેમ્બર
તેઓ સાઉથ એશિયામાં કાર્યરત ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઇક્લી સંસ્થાની એકઝીક્યુટિવ કમિટીનાં મેમ્બર છે. અને આગામી તા. 17થી 22 ત્યાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અગ્નિકાંડ બાદ ભાજપની જીતની ઉજવણી નહીં કરવા બાબતે રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ચૂંટણી પરિણામો પૂર્વે યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપના ઉમેદવારો વિજેતા થશે તો પણ અગ્નિકાંડના મૃતકોના શોકમાં વિજય સરઘસ યોજવામાં નહીં આવે કે કોઈપણ પ્રકારની ઉજવણી કરવામાં નહીં આવે એવી જાહેરાત કરવામાં આવી હતી.


