- કૌભાંડોથી મુન્નાભાઈ MBBS જેવા ડૉક્ટરો જોવા મળશે
- ગોધરાની શાળામાં નીટનું કૌભાંડ કેટલાક સમયથી ચાલતું હતું?
- ભાજપ સરકાર વિદ્યાર્થીઓ માટે પોતાનું સ્ટેન્ડ જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી
તાજેતરમાં નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિ તથા પેપરલીકના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી છે. નીટની પરીક્ષા આપનાર 24 લાખ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થયું છે.ત્યારે ભાજપ સરકાર વિદ્યાર્થીઓ માટે પોતાનું સ્ટેન્ડ જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી છે.
પરીક્ષાના રજિસ્ટ્રેશનથી પરિણામ સુધી ઘણા શંકાસ્પદ નિર્ણય સરકારે લીધા છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈની ટીમ સાથે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીમાં 21મી જૂને શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે ધરણાં કાર્યક્રમ યોજશે.
કોંગ્રેસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, નીટ કૌભાંડ વિરુદ્ધ હવે અમદાવાદમાં આંદોલન કરાશે. નીટ જેવી પરીક્ષાઓના કૌભાંડ કરીને ડોક્ટર બનાવાશે તો મુન્નાભાઈ એમબીબીએસ જેવા ડોક્ટરો જોવા મળે તો નવાઈ નહિ. નીટ પરીક્ષામાં ભાજપ શાસિત રાજ્યોમાં ગેરરીતિ સામે આવી છે, રજિસ્ટ્રેશન વિન્ડો ખોલવામાં આવી ત્યાર બાદ પરિણામની તારીખ જે નક્કી કરાઈ તે પણ ચૂંટણી પરિણામના દિવસે જ નક્કી કરાઈ હતી, આ બાબત શંકાના દાયરામાં છે. એનટીએ ગ્રેસિંગ માર્કસના નામે ગુમરાહ કરી બિહારના પટનામાં 17 લોકોની ધરપકડના વિષયમાં સરકાર કેમ ચુપ છે? પ્રવકતાએ કહ્યું કે, યુજીસી નેટ પરીક્ષાનું પેપર લીક થવું એ પણ વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે ચેડાં સમાન છે. નીટની પરીક્ષામાં કૌભાંડના તાર ગુજરાતમાં મળે છે. ગોધરા ખાતેની એક શાળામાં પરીક્ષાનું કૌભાંડ પકડાયું છે, જે કેટલા સમયથી ચાલી રહ્યું છે તેની તપાસ થવી જોઈએ.


