- ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ પોતાના ગામ કોડવાવમાં ફસાયાના સમાચાર
- માણાવદરના 20થી વધુ ગામો સંપર્ક વિહોણા
- માણાવદર વિધાનસભા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેતીલાયક જમીનનું ધોવાણ
રાજ્યમાં મેઘાએ જમાવટ કરી છે, ત્યારે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકો હેરાન થઈ ગયા છે અને વાહનચાલકો પણ પરેશાન થઈ ગયા છે. ત્યારે રાજ્યના કેટલાક ગામડાઓમાં જવાનો રસ્તો જ બંધ થઈ ગયો છે. વાત કરીએ જુનાગઢના કોડવાવની તો એકલેરા ગામથી કોડવાવ તરફ જવાનો રસ્તો સંપૂર્ણ રીતે અવિરત વરસાદના કારણે બંધ થઈ ગયો છે.
ખેતીલાયક જમીનનું વરસાદી પાણીના કારણે થયુ ધોવાણ
કોડવાવ અને તેના ઉપરના ગામો જેવા કે સમેગા, થાપલા, વેવદરા, ધરશન, ગઢવાણાં સહિત ગામો તરફ જવાના રસ્તા બંધ થઈ ગયા છે અને વિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણી પોતે પણ પોતાના ગામ કોડવાવમાં ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે અને સાથે જ સતત વરસાદના પગલે એકલેરા ગામના ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જણાવ્યું કે માણાવદર વિધાનસભા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેતીલાયક જમીનનું વરસાદી પાણીના કારણે ધોવાણ થયુ છે અને વરાપ નીકળ્યા બાદ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરાશે અને શક્ય તેટલી મદદ ખેડૂતોને કરવામાં આવશે.
માણાવદરના 20થી વધુ ગામ સંપર્કવિહોણા
જો માણાવદરની વાત કરીએ તો હાલમાં તેની આસપાસમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને ઈન્દ્રા, કોડવાવ, લીંબુડા, પાજોદ, લાઈઠ સહિતના ગામોમાં ગઈકાલ રાતથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે અને ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે જ માણાવદરના 20થી વધુ ગામો પણ સંપર્કવિહોણા થયા છે.
ઉપલેટાનું લાઠ ગામ પણ સંપર્ક વિહોણું
ભારે વરસાદથી ઉપલેટાનું લાઠ ગામ સંપર્ક વિહોણુ થયુ છે. તેમાં 8 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું છે. વિદ્યાર્થીઓને SDRFએ રેસ્ક્યુ કરી બીજા છેડે પહોંચાડ્યા છે. લાઠ ગામમાં 8 ઈંચ વરસાદથી સંપર્ક વિહોણું થયુ છે. ત્યારે તંત્ર દ્વારા SDRFની ટિમ લાઠ મોકલવામાં આવી છે. પાટણવાવ પોલીસ તેમજ મામલતદારની ટીમ SDRF સાથે આવી પહોંચી છે. જેમાં આઠ વિદ્યાર્થીઓની પરીક્ષા હોઈ SDRF દ્વારા ટ્રેક્ટરમાં રેસ્ક્યુ કરી બીજા છેડે પહોંચાડ્યા છે. તેમજ SDRFની ટીમ તમામ બોટ જેકેટ દોરડા સહિત સામગ્રી સાથે ખડે પગે છે. ઉપલેટા તાલુકાના લાઠ ગામના ખેતરોમાં વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વિવિધ પાકો પાણીમાં ગરકાવ થયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવી શકે છે.


