- પાલિકાની બેદરકારીથી વરસાદ વગર જ રોડ પર પાણી ફરી વળ્યાં
- પાણી વિતરણ કરવાના બદલે અણઆવડતથી વેડફાટ કરાતા શહેરીજનોમાં આક્રોશ
- સુરેન્દ્રનગર પાલિકાના પ્રમુખના વોર્ડમાં વગર વરસાદે ચોમાસા જેવા રસ્તામાં પાણી ભરાયા હતા
સુરેન્દ્રનગરના વોર્ડ નં.4માં આવેલી પાણીની ટાંકીનો વાલ્વ ખરાબ થતા પાણી શહેરીજનોને વિતરણ કરવાના બદલે લાખો લીટર પાણી રસ્તામાં વહેવડાવી દેતા વરસાદ વગર ચોમાસા જેવો માહોલ સર્જી વેડફાટ કરતા શહેરીજનોએ નગરપાલિકાના સતાધીશોની કામગીરી સામે રોષ વ્યકત કર્યો હતો.
સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુકત પાલિકાને મહાનગરપાલિકા જાહેર કરી છે. ત્યારથી સુરેન્દ્રનગર પાલિકા સતાધીશો ગટર, પાણી, રસ્તા સહિતની લોકોની સમસ્યા ઉકેલવામાં ધાંધીયા કરતા હોય એવુ લાગી રહયુ છે. બે દિવસ પહેલા જ વઢવાણના સુડવેલ વિસ્તારમાં રોડની સમસ્યા નહીં ઉકેલાતી હોવાથી પાલીકાને તાળાબંધી પણ કરી હતી. ત્યારે એક તરફ સુરેન્દ્રનગર વિસ્તારમાં વરસાદ ખેંચાઇ રહયો છે. એવા સમયે સુરેન્દ્રનગર સંયુકત પાલિકાના પ્રમુખના વોર્ડમાં વગર વરસાદે ચોમાસા જેવા રસ્તામાં પાણી ભરાયા હતા. એક તરફ શહેરીજનોને પુરતુ શુધ્ધ પાણી મળતુ નથી અને આટલો મોટો લાખો લીટર પાણીનો વ્યય થતો જોઇ શહેરીજનોએ નગરપાલિકાના ચીફ ઓફીસર સહિતની ટીમ સામે ભારે રોષ વ્યકત કર્યો હતો. જ્યારે પાણીના વેડફાટ મામલે ચીફ ઓફીસર સાગર રાડીયાને પુછતા તેઓએ વાલ્વ ખરાબ થવાના કારણે તેને બદલવા માટે પાણીનો આખો ટાંકો ખાલી કર્યાનો જવાબ આપ્યો હતો. આમ લાખો લીટર પાણીમાંથી જેટલુ બને એટલુ પાણી તાત્કાલિક વિતરણ કરવાના બદલે રોડ ઉપર વહેવડાવી દીધુ હોવાથી તંત્રની ઘોર બેદરકારી સામે શહેરીજનોએ રોષ વ્યકત કર્યો હતો.
આ અંગે સામાજિક કાર્યકર કમલેશ કોટેચાએ જણાવેલ કે દસેક લાખ લીટર પાણી ભરેલા ટાંકાનો વાલ્વ ખરાબ થાય તો ચાલુ પાણીએ વાલ્વ બદલાય કે બને એટલુ પાણી શહેરીજનોને વિતરણ કરવાની લાઇનમાં વિતરણ પણ કરી શકાય. પરંતુ પાલિકાની ઘોર બેદરકારીથી લાખો લીટર પાણી રોડ ઉપર વહેવડાવી દીધુ હતુ.


