- AMTSના 71જેટલા બસ રૂટમાં ફેરફાર કરાયા છે અને ડાઈવર્ઝન આપવામાં આવ્યું
- BRTSના 4 રૂટ બંધ કરાયા છે, પાંચ બસ રૂટમાં આંશિક ફેરફાર કરાયો છે
- BRTSના 32 સ્ટેશન, કેબીન ખાતે બસ ઓપરેશન બંધ રહેશે
અમદાવાદમાં અષાઢી બીજ, તા. 7 જુલાઈ, 2024 રવિવારના રોજ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને ધ્યાનમાં લઈને AMTSના 71જેટલા બસ રૂટમાં ફેરફાર કરાયા છે અને ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. જ્યારે BRTSના 4 રૂટ બંધ કરાયા છે, પાંચ બસ રૂટમાં આંશિક ફેરફાર કરાયો છે. BRTSના 32 સ્ટેશન, કેબીન ખાતે બસ ઓપરેશન બંધ રહેશે. BRTS દ્વારા 6 બસ રૂટ ટૂંકાવવામાં આવ્યા છે અને 10 બસ રૂટ બંધ રાખવામાં આવ્યા છે.
ઓન રોડ બસ રૂટોની સંખ્યા 146 છે અને ઓન રોડ 813 બસ મૂકવામાં આવશે
ઓન રોડ બસ રૂટોની સંખ્યા 146 છે અને ઓન રોડ 813 બસ મૂકવામાં આવશે. આ ડાયવર્ઝનનો જે તે સમયે ટ્રાફિક પોલીસની સૂચના મુજબ અમલ કરવાનો રહેશે. ડાયવર્ઝનના બસ રૂટમાં આવતા તમામ બસ સ્ટેન્ડ ખાતેથી પ્રવાસીઓને લેવાના અને ઉતારવાના રહેશે. રથયાત્રાના રૂટ પરનો માર્ગ બંધ હોય ત્યારે જ ડાયવર્ઝનનો અમલ કરવાનો રહેશે અને તે સિવાયના સમયે અસર રસ્તે અવર- જવર કરવાની રહેશે.
જમાલપુર જગન્નાથ મંદિર નેત્રોત્સવ વિધિ પૂર્ણ, સંતો અને ભક્તોનો જમાવડો
શુભ મુહૂર્તમાં ભગવાન જગન્નાથ, બલરામજી અને સુભદ્રાજી મોસાળથી સવારે 8 વાગે જમાલપુર મંદિરે પરત આવ્યાં હતાં. જ્યાં ગર્ભગૃહમાં ભગવાનના પ્રવેશ બાદ રત્નવેદી ઉપર પ્રતિષ્ઠા કરાઈ હતી અને નિજ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. મોસાળમાં ભગવાને વધુ પ્રમાણમાં જાંબુ, ફળફળાદી ખાવાના કારણે તેમની આંખો આવતી હોવાથી આંખો પર પાટા બાંધવામાં આવે છે.
અષાઢી બીજ રથયાત્રાના દિવસે આંખ પરથી પાટા ઉતરશે
જે અષાઢી બીજ રથયાત્રાના દિવસે આંખ પરથી પાટા ઉતરશે અને તે બાદ ભગવાનની રથયાત્રા નગરચર્યા પર નીકળશે. આ વચ્ચે મંદિર ખાતે વિશેષ પૂજાની સાથે ભંડારાનું પણ આયોજન આજે સંતો અને ભક્તો માટે યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં વિવિધ ભજન મંડળીઓ દ્વારા રમઝટ પણ બોલાવતા સમગ્ર માહોલ ભક્તિમય થયો હતો.


