- રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપ નેતા યજ્ઞેશ દવેએ કર્યા પ્રહાર
- કોઈની હાર કે જીત વ્યક્તિના હાથમાં નથી: યજ્ઞેશ દવે
- ગુજરાતની જનતાએ 30 વર્ષથી ભાજપના શાસનને પસંદ કર્યું અને આગળ પણ કરશે
અમદાવાદના પાલડીમાં કોંગ્રેસ કાર્યાલય પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે કોંગ્રેસના કેટલાક કાર્યકરોને આજે રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં મોકલાયા છે. બીજી તરફ રાહુલ ગાંધી આજે રિમાન્ડ પર લીધેલા કાર્યકરોને મળવા માટે અમદાવાદની મુલાકાતે આવ્યા તે પહેલા જ આ કાર્યકરોને જેલમાં મોકલવામાં આવ્યા બાદ મુદ્દો ગરમાયો છે. રાહુલ ગાંધીએ એરપોર્ટ પર કેટલાક નેતાઓ સાથે 15 મિનિટ ચર્ચા કરી ત્યારબાદ કોંગ્રેસના કાર્યાલય ખાતે આવીને કાર્યકરોને સંબોધન કર્યુ.
રાહુલ ગાંધીએ ભાજપ પર તીખા પ્રહારો કર્યા
સંબોધન કરતા રાહુલ ગાંધીએ ભાજપ પર તીખા પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ બબ્બર શેર છે. કોંગ્રેસ ગુજરાતમાં જીતશે, ગુજરાતથી જ નવી કોંગ્રેસ બનશે. ભાજપે આપણી ઓફિસ તોડી છે અમે એમની સરકાર તોડીશુ. આ પહેલાની ચૂંટણીમાં અમે ગુજરાતમાં બરાબર નહોતા લડ્યા, કોંગ્રેસમાંથી 50 ટકા લોકો માને છે ગુજરાતમાં કોંગ્રેસ જીતશે. આ 50 ટકા લોકો બાકીનાનો માઈન્ડસેટ બદલી શકે છે અને તમારે ચિંતા કરવાની કોઈ જરૂરી નથી AICCની આખી ટીમ ગુજરાત કોંગ્રેસ સાથે છે. ગુજરાતમાં સાથે મળીને લડીશું અને જીત મેળવીશું. ગુજરાતમાં ભાજપનો ફુગ્ગો ફૂટી ગયો છે, ગુજરાતમાં કોંગ્રેસ પ્રેમથી જીતશે.
યજ્ઞેશ દવેએ આપ્યો વળતો જવાબ
ત્યારે હવે રાહુલ ગાંધીના આ નિવેદનની સામે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ પ્રહારો કર્યા છે અને કહ્યું કે કોઈની હાર કે જીત વ્યક્તિના હાથમાં નથી, એક સીટ અમે હાર્યા એ ચોક્કસ છે પણ એક સીટથી રાજ્યની કે દેશની હાર-જીત નક્કી કરવી એ અયોગ્ય છે. દેશની જનતાએ ભાજપને પસંદ કર્યો છે, 30 વર્ષથી ભાજપના શાસનને પસંદ કર્યું અને કરશે એ એમને વિશ્વાસ છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતની 1 સીટ માંડ 30 હજાર વોટથી જીતી છે, તેમની પાસે મેટાડોરમાં ભરીને આવી શકે એટલા પણ ધારાસભ્ય નથી અને જીતવાની વાત કરે છે.
રાહુલ ગાંધીને વળતો જવાબ આપતા યજ્ઞેશ દવેએ કહ્યું કે ડર કોને કહેવાય એ ઈન્દીરા અને નહેરુને જઈને પૂછો, ડરના કારણે ઈમરજન્સી લગાવી હતી. કોંગ્રેસે બાબા સાહેબને 2 વખત હટાવવાનું કામ કર્યું હતું. હિન્દુને હિંસક કહ્યા એટલે ભાજપના કાર્યકર્તાઓ શાંતિથી વિરોધ કરવા ગયા હતા પણ પહેલો પથ્થર કોંગ્રેસની ઓફિસમાંથી ફેંકાયો હતો, તેના મીડિયા પાસે ફૂટેજ છે. દેશ ના પીએમ અને રાષ્ટ્રપતિ માટે ગમે તે ઉચ્ચારણ કરવા તે કોંગ્રેસના સંસ્કાર છે.


