- કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને CM બનાવાની માગ
- કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યા: ભુપત ડાભી
- કુંવરજીભાઈ મુખ્યમંત્રી બનશે તો ભાજપ વધુ મજબૂત બનશે
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા માટેની માગ કરવામાં આવી છે અને કોળી સમાજના અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. ત્યારે આ મામલે કોળી સમાજના આગેવાન ભુપત ડાભીએ નિવેદન આપતા કહ્યું કે કોળી સમાજમાં સર્વ કરીને અમે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે.
રાજ્યના 36 જિલ્લામાં સર્વે કરાયો
તમને જણાવી દઈએ કે ભુપત ડાભી કોળી સમાજના ભવનાથ જગ્યાના પ્રમુખ છે. તેમને કહ્યું કે અમે રાજ્યના 36 જિલ્લામાં સર્વે કર્યો અને કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યા છે. કુંવરજીભાઈ મુખ્યમંત્રી બનશે તો ભાજપ વધુ મજબૂત બનશે અને અમે ભાજપને વધુ મજબૂત બનાવવા માટે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે.
રાજ્યમાં 265 સરપંચ કોળી સમાજના
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 265 સરપંચ કોળી સમાજના છે અને જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ કોળી સમાજના ચૂંટાયેલા સભ્યો વધુ છે. ત્યારે કુંવરજીભાઈ જેવા નિષ્ઠાવાન વ્યક્તિ મુખ્યપ્રધાન બને તો ભાજપ વધુ મજબૂત થાય કારણ કે કુંવરજીભાઈ જેવો ભણેલો ગણેલો અને નિષ્ઠાવાન કોઈ વ્યક્તિ જ નથી.
સમગ્ર મુદ્દે કુંવરજી બાવળીયાએ આપ્યું નિવેદન
આ સમગ્ર મુદ્દે કુંવરજી બાવળીયાએ કહ્યું કે મારા તરફથી આવી કોઈ માગણી કરવામાં આવી નથી. આ વાત પાયાવિહોણી છે. કોઈ હિતેચ્છુએ આ પ્રકારની વાત કરી નથી. કોને કયુ પદ આપવુ તે હાઈકમાન્ડ નક્કી કરે છે.


